સાબરકાંઠામાં કરોડોના ખર્ચે બનાવેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો પર ખંભાતી તાળા

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ લાખો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. આ સાથે અનિયમિત ખુલતા આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને વિલા મોઢે પાછા જવાનો વારો આવતો હોય છે. જો કે, અંતરિયાળ વિસ્તારમાં સ્ટાફ કે અધિકારી ન આવવાના કારણે કેટલાય વીડિયો વાયરલ થયેલા છે.
અનેકવાર રજૂઆત કરતા કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે આજે રિયાલિટી ચેકમાં ખેડબ્રહ્માના દામાવાસ વિસ્તારનું આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક તેમજ જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીને પગલે ખંભાતી તાળાબંધી જોવા મળી છે. વર્ષ 2017માં રૂપાણીના વરદહસ્તે નિર્માણ થયેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રને સ્થાનિકોની સારવાર અર્થે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આજના આધુનિક ડિજિટલ યુગમાં પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવી છે. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર બંધ રહેતાં સ્થાનિકો લોકોને સારવાર અર્થે શહેરી વિસ્તારની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો સુઘી જવું પડતું હોય છે.
ત્યારે આગામી સમયમાં જિલ્લા તેમજ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દામાવાસ ખાતેના બંધ આયુષ્માન આરોગ્ય કેન્દ્રના તબિબો સહિત જવાબદાર સામે કેવા અને ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ખૂબ મહત્વનું બની રહે છે.