September 18, 2024

એક ફૂલ બે માળીમાં ખેલાયો ખૂની ખેલ, 2 શખ્સની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના રખિયાલમાં એક ફૂલ બે માળીમાં ખૂની ખેલ ખેલાઈ ગયો. રખિયાલમાં પ્રેમ અને પૈસા બન્યા હત્યાનું કારણ. રખિયાલમાં યુવકની ઘાતકી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી.

આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણ નામના બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પર 22 વર્ષના યુવકની હત્યા કરવાનો આરોપ છે. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિતમિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાલોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ પૈસાની લેતી દેતી ની ઉઘરાણી અને એક જ યુવતીને પ્રેમ કરવાની ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક માસથી ઝઘડો ચાલતો હતો. જેમાં મૃતક અને આરોપી એક યુવતીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત મૃતક જાવેદઅલી ના એક મિત્ર ના રૂ 1 લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા. જેથી તેના ઘરે જઈને મૃતક ઉઘરાણી કરતો હતો. અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો. આ ઝઘડાઓની અદાવતમાં વચ્ચે આરોપીઓ 2 વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતા 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.

આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઇકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.