June 30, 2024

પાણી સમસ્યાનો અંત આણવા Rajkot મનપાના કમિશનરનું પ્લાનિંગ, જાણો તમામ માહિતી

ઋષિ દવે, રાજકોટઃ શહેરની જલ સમસ્યા હલ કરવા માટે લાંબા ગાળાનું આયોજન મહાનગરપાલિકાએ તૈયાર કર્યું છે.વરસાદી પાણીને જરૂરિયાત મુજબ જમીનમાં ઉતારવા માટે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે.

વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર આનંદ પટેલે કમર કસી છે. રાજકોટમાં હવે નવી બિલ્ડિંગો બને તેમાં તો વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, પણ જે જૂની બિલ્ડિંગો છે, તેનું વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે મનપા દ્વારા સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ખર્ચના 90 ટકા ખર્ચ મનપા ભોગવશે અને 10 ટકા જે તે સોસાયટી ભોગવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી ATSએ ચાર આતંકીઓ દબોચ્યા

પ્રારંભિક તબક્કે 200 શાળા સહિત 1200 બોર રિચાર્જ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 4 ચેકડેમ બનાવવામાં આવશે. પાણીના પ્રશ્નના નિરાકરણાર્થે જન આંદોલન શરૂ થાય એ વાતને કેન્દ્રમાં રાખી આ તમામ કામગીરી લોક ભાગીદારીથી કરવામાં આવશે. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મોટા પ્રમાણમાં કામગીરી કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની જલ સમસ્યા હલ કરવા માટે લોક ભાગીદારીથી અનેક કામોકરવામાં આવી રહ્યાં છે. જેમાં ખાનગી શાળાના બોર રિચાર્જ કરાવવા ઉપરાંત શહેરની સામાજિક સંસ્થાઓના સહકારથી ચાર ચેકડેમ બનાવવામાં આવશે. જેના કારણે ભૂગર્ભનું સ્તર સુધરશે. મનપા સંચાલિત 100 જેટલી શાળામાં બોર રિચાર્જ કરવામાં આવશે. આ ઉપરાંત મનપાની માલિકીની જેટલી પણ મિલકતો છે તે તમામનું વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આતંકવાદીના ફોનમાંથી મળ્યું નાના ચિલોડાનું લોકેશન, તપાસ કરતા હથિયારોનો જથ્થો મળ્યો

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના પ્લાનિંગ મુજબ પ્રથમ તબક્કામાં 100 શાળાના બોર રિચાર્જ કરવામાં આવશે. એટલે કે જે શાળામાં બોર હશે તે રિપેર કરવામાં આવશે અને જે શાળામાં બોર નહીં હોય ત્યાં નવો બોર બનાવવામાં આવશે. જે શાળાની બિલ્ડિંગનું વરસાદી પાણી બોર મારફતે જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે અલગ અલગ એજન્સીઓ પણ નક્કી કરી લેવામાં આવી છે. હાલ કામગીરી ચાલુ પણ કરી દેવામાં આવી છે. 100 શાળા ઉપરાંત 10 હજાર મકાનના બોર રિચાર્જ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. જેના ભાગરુપે બે ફૂટ બાય બે ફૂટની 10 હજાર કૂંડી બનાવવાનું કામ કરવામાં આવશે. વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ પણ મહાનગરપાલિકાને ફાળવી દેવામાં આવી છે.આચારસંહિતા પૂર્ણ થયે તમામ કામગીરીને વેગવંતી બનાવાશે.