July 5, 2024

IAS-IPSની મુલાકાતનો ફોટો વાયરલ, બેદરકારી ન દેખાઈ કે આંખ આડા કાન કર્યા?

Rajkot Game Zone Tragedy: રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં આવેલા આંકડા પ્રમાણે 32 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. તેમાં બાળકો પણ સામેલ છે. ત્યારે આ જ ગેમઝોનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ બાબુ, તત્કાલિન પોલીસ કમિશનર બલરામ મીણા, તત્કાલિન મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા સહિતના અધિકારીઓ દેખાઈ રહ્યા છે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે 22મી માર્ચ, 2022ના દિવસે તેમણે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી.

રાજકોટના તત્કાલિન અધિકારીઓએ જ્યારે આ ગેમઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને આ બેદરકારી દેખાઈ નહોતી એ સવાલ ઉભો થઈ રહ્યો છે. આ IAS-IPS કક્ષાના અધિકારીઓને આ ગંભીર બેદરકારી દેખાઈ નહોતી કે પછી તેમણે આંખ આડા કાન કર્યા હતા, તે સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ લાપતા ભાઈની રાહ જોઈ રહેલા મોટાભાઈએ કહ્યુ – તંત્ર જવાબ નથી આપતું, કેસ નોંધાવવો પડશે

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.