July 7, 2024

સર્વસ્વ ગુમાવનારા લાચાર પિતાએ કહ્યુ – આરોપીઓને સજા પહેલાં જામીન મળ્યા તો બધાને પતાવી નાંખીશ

Rajkot Game Zone Tragedy: રાજકોટની આગ દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પિતાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમના દીકરા સહિત પરિવારના 5 સભ્યો પણ લાપતા છે. ત્યારે સર્વસ્વ ગુમાવી બેઠેલા આ પરિવારના મોભીના શબ્દોમાં લાચારી દેખાઈ રહી છે. તેમણે હોશ ગુમાવી દીધો છે. પરિવારના મોભી લાચાર થઈને તંત્રને આકરા શબ્દો કહી રહ્યા છે.

પિતા પ્રદિપસિંહ ચૌહાણના પુત્ર રાજભા ચૌહાણ સહિત પરિવારના 5 સભ્યો લાપતા છે. ત્યારે પરિવારના આ મોભી આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આરોપીને સજા પૂર્વે જામીન મળ્યા તો આરોપીઓને મારી નાંખશે. આ ઉપરાંત તેમણે વકીલોને પણ આ કેસ ન લડવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કેસની ફી હોય છે તેના કરતાં 2 લાખ વધુ આપશે તેવું પણ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત, પતિનું મોત થતા પત્ની ટ્રોમામાં

સમગ્ર ઘટનાની માહિતી આપતા તેઓ જણાવે છે કે, ‘અમે પહોંચ્યા અને તેના પંદરેક મિનિટમાં જ આ ઘટના બની હતી. નીચેથી મારા ફેમિલિ મેમ્બરનો ફોન આવ્યો કે આગ લાગી છે. ઉપરથી ધુમાડા નીકળતા દેખાય છે અને ધડાકા થાય છે. ફાયરબ્રિગેડ આવી નહોતી. 20-25 જણા અંદર હતા. તે દરવાજા બંધ કરીને બહાર નીકળી ગયા. મારા સાળુભાઈ અને એમના સાળા બે નીચે હતા. તે બચાવવા માટે ઉપર ગયા અને એ લોકોએ બહારથી કાચનો દરવાજો બંધ કરી દીધો. એ વીડિયોમાં પણ દેખાય છે.’

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘તેમણે બીજા માળે 1500 લિટર ડીઝલ અને ગોકાર્ટમાં 1200 લિટર જેટલું પેટ્રોલ, નીચે વેલ્ડિંગનું કામ ચાલતું હતું. ત્યારે તણખો પડતા બ્લાસ્ટ થયું હતું. કોઈને ભાગવાનો ચાન્સ જ ન મળ્યો. 45 સેકન્ડમાં આખી ઘટના બની હતી. ચાર વર્ષથી ફાયર એનઓસી નહોતી. 99 રૂપિયાની સ્કિમ હતી. એટલે લોકોની પડાપડી હતી.’

આ પણ વાંચોઃ લાપતા ભાઈની રાહ જોઈ રહેલા મોટાભાઈએ કહ્યુ – તંત્ર જવાબ નથી આપતું, કેસ નોંધાવવો પડશે

તેઓ વધુમાં જણાવે છે કે, ‘સરકાર ફાંસીની સજા આપે. મારે કોઈ સરકારી સહાય નથી જોઈતી. જો આ લોકો સજા થઈ અને પહેલાં જામીન મળ્યા તો હું બધાને મારી નાંખીશ. મારી આગળપાછળ કોઈ નથી. આ કહેવાની ધમકી નથી. હું મારી બધી તૈયારીમાં છું.’