July 2, 2024

લાપતા ભાઈની રાહ જોઈ રહેલા મોટાભાઈએ કહ્યુ – તંત્ર જવાબ નથી આપતું, કેસ નોંધાવવો પડશે

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગી હતી અને તેમાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે આ મામલે ન્યૂઝ કેપિટલની ટીમે હર્ષ દેવમુરારી સાથે વાત કરી હતી. તેમનો ભાઈ હજુ પણ લાપતા છે.

તેમણે જણાવ્યુ હતુ કે, ‘ગેમઝોનમાં સ્ટાફ વધારે હતો. હજુ સુધી 27 બોડી જ આવી છે. તો બીજા ક્યાં ગયા. અમને કોઈ જાણ નથી મળી. ઇજાગ્રસ્ત થયેલાની પણ જાણ મળી નથી. તંત્ર કોઈ જવાબ આપતું નથી. ડીએનએ લઈએ છીએ અને તપાસ કરીએ છીએ. હવે તો કેસ નોંધાવો પડશે. આટલા બધા લાપતા છે. તો એ લોકો છે ક્યાં. ઇજાગ્રસ્તો ક્યાં છે તે પણ નથી કહેતા. પોસ્ટમોર્ટમ રૂમમાં અંદર નથી જવા દેતા.’

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત, પતિનું મોત થતા પત્ની ટ્રોમામાં

જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.