‘બિહારને બંગાળ બનાવવા માંગે છે રાહુલ ગાંધી અને તેજસ્વી’, કોંગ્રેસના પૂર્વ નેતાનો મોટો દાવો

Bihar Election: આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ, જેડીયુ, કોંગ્રેસ, આરજેડી સહિત વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરજેડી અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યો છે. આચાર્ય પ્રમોદે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ બિહારને બંગાળ જેવું બનાવવા માંગે છે.

આચાર્ય પ્રમોદે શું કહ્યું?
રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસની બેઠક બાદ, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મંગળવારે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ બિહારને બંગાળ જેવું બનાવવા માંગે છે. હવે બિહારના હિન્દુઓએ નક્કી કરવું પડશે કે તેઓ આવું બનતું જોવા માંગે છે કે નહીં.

દેશમાં હિન્દુઓ ગંભીર ખતરામાં છે: આચાર્ય પ્રમોદ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે આચાર્ય પ્રમોદે કહ્યું કે દેશના હિન્દુઓ ખૂબ જ ખતરામાં છે અને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આનો વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે, બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી આ વર્ષના અંતમાં ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે.