July 2, 2024

તમારા રસોડામાં શું રંધાઈ રહ્યું છે?

Prime 9 with Jigar: રસોઈ બનાવવા માટે સ્ટીલનાં વાસણો વાપરવાં જોઈએ કે એલ્યુમિનિયમનાં? નોન-સ્ટિક કૂકવેરનો ઉપયોગ કરવો જોઈએ કે આયર્નનાં વાસણોમાં રાંધવું જોઈએ? આ પ્રકારના સવાલો દરેક ગૃહિણીને સતાવતા હોય છે. આ અંગે યોગ્ય માહિતી ઉપલબ્ધ નહીં હોવાથી અખતરા પણ થતા હોય છે. લોકો અખબારો કે ટીવીની જાહેરખબરોથી દોરવાઈને પણ વાસણો ખરીદે છે. આ સિવાય ટ્રેન્ડ ચાલતો હોય એ વાસણો પણ લોકો ખરીદી લે છે પણ આ વાસણોમાં રાંધવાથી એની આરોગ્ય પર શું અસર થાય છે એ વિશે વિચારતાં નથી. ક્યા પ્રકારનાં વાસણોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને ક્યાં વાસણોનો ઉપયોગ લાભદાયક નથી એ અમે તમને જણાવીશું.

માટીનાં વાસણો સર્વશ્રેષ્ઠ

  • મોટા ભાગે એલ્યુમિનિયમ, સ્ટીલ, આયર્ન અને નોન-સ્ટિક કૂકવેરનો ઉપયોગ.
  • ભોજન રાંધવા માટે શ્રેષ્ઠ માટીનાં વાસણ.
  • માટીનાં વાસણોમાં રાંધવાથી પૌષ્ટિક તત્ત્વો જળવાય.
  • માટીની તવીમાં બનાવેલા બાજરીના રોટલા પૌષ્ટિક તત્ત્વો જળવાતા હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ.
  • ખોરાકને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવો હોય તો ધીમે ધીમે પકવો.
  • માટીના વાસણમાં રાંધવામાં વધુ સમય લાગે, પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ.
  • માટીનાં વાસણો દૂધ અને દૂધના ઉત્પાદનો માટે શ્રેષ્ઠ.
  • માટીના વાસણમાં રાંધવાથી સંપૂર્ણ 100 ટકા પોષકતત્ત્વો મળે.
  • માટીના વાસણમાં ભોજન ખાવાથી અલગ જ સ્વાદ આવે.
  • માટીના વાસણના કારણે કોઈ નુકસાન થતું નથી.

સ્ટીલ કે લોખંડ?

  • સૌથી વ્યાપક ઉપયોગ સ્ટીલનાં વાસણોનો.
  • સ્ટીલનાં વાસણો તમામ ઘરોમાં જોવા મળે.
  • ભારતનાં ઘરોમાં સૌથી વધુ વાસણો સ્ટીલના.
  • સ્ટીલનાં વાસણોમાં ખોરાક ખાવો અથવા રાંધવું નુકસાનકારક નથી.
  • સ્ટીલને ગરમ-ઠંડાની કોઈ અસર થતી નથી.
  • સ્ટીલનાં વાસણો કોઈ પણ સ્વરૂપે નુકસાન પહોંચાડતા નથી.
  • સ્ટીલનાં વાસણોમાં રસોઈ બનાવવાથી અને ખાવાથી શરીરને ફાયદો કે નુકસાન નહીં.
  • સ્ટીલનાં વાસણો રાંધવા માટે સારાં નથી એવી સામાન્ય માન્યતા.
  • વાસ્તવિકતા એ છે કે, સ્ટીલનાં વાસણોની કોઈ આડઅસર નથી.
  • સ્ટીલનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે પણ વાસણો બનાવવા મહત્તમ ઉપયોગ.
  • અલબત્ત સ્ટીલ કરતાં વધારે સલામત વિકલ્પ આયર્ન એટલે કે લોખંડનાં વાસણો.
  • લોખંડના વાસણમાં બનાવેલું ભોજન ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન મળે.
  • આયર્ન ભરપૂર એનર્જી મેળવવા માટે ખૂબ જરૂરી.
  • લોખંડના વાસણમાં બનેલો ખોરાક ખાવાથી શરીરની તાકાત વધે.
  • આયર્ન શરીરમાં જરૂરી પોષક તત્ત્વોને વધારે.
  • આયર્ન અનેક બીમારીઓને પણ દૂર કરે.
  • આયર્નથી શરીરમાં સોજાની સમસ્યા ન રહે.
  • લોખંડના વાસણમાં દૂધ પીવું યોગ્ય.

આયર્નનાં વાસણોમાં રાંધવાથી વાસણનું આયર્ન ભોજનમાં ભળે છે અને આયર્ન શરીર માટે બહું જ સારું છે તેથી લોખંડનાં વાસણો રાંધવા માટે શ્રેષ્ઠ મનાય છે. રાંધવા માટે પિત્તળના વાસણ પણ સારાં છે.

પિત્તળ એટલે આરોગ્ય માટે સોનું 

  • પિત્તળના વાસણોમાં રાંધવાથી અને ખાવાથી અનેક બીમારી ન થાય.
  • કૃમિની બીમારી, કફ અને શ્વાસની બીમારી થતી નથી.
  • પિત્તળના વાસણોમાં રાંધવાથી માત્ર 7 ટકા પોષકતત્ત્વોનો નાશ થાય.
  • અતિ ધનિક લોકોને ત્યાં સોના અને ચાદીનાં વાસણોનો ઉપયોગ.
  • ચાંદી ઠંડી ધાતુ હોવાથી એનો ઉપયોગ રાંધવા માટે બહું થતો નથી.
  • ચાંદીનાં વાસણોનો ઉપયોગ જમવા માટે.
  • ચાંદીમાં બનેલા વાસણમાં જમવાથી શરીરને ઠંડક મળે.
  • ચાંદી શરીરને શાંત રાખે.
  • ચાંદી આંખો માટે પણ ફાયદાકારક.
  • ચાંદી પિત્ત, કફ અને વાયુ દોષોને નિયંત્રિત કરે.
  • શુદ્ધ સોનાનાં વાસણ ના બને.
  • પિત્તળ સાથે મિશ્રણ કરીને સોનાના વાસણ બનાવાય.

આયુર્વેદ મુજબ સોનું ગરમ ધાતુ હોવાથી એમાંથી બનાવેલાં વાસણમાં રાંધીને ખાવાથી શરીરના અંદરના અને બહારના બંને ભાગ મજબૂત,બળવાન અને શક્તિશાળી બને છે. સોનાના વાસણમાં ખાવાથી આંખોને લાભ થાય છે, એનાથી આંખોની રોશની વધે છે. રાંધવા માટે તાંબાનાં વાસણોનો બહું ઉપયોગ થતો નથી પણ ભોજન માટે તાંબાનાં વાસણો સારાં ગણાય છે.

તાંબુ પણ શ્રેષ્ઠ વિકલ્પ

  • તાંબાનાં બનેલા વાસણમાં રાખેલું પાણી પીવાથી અનેક રોગો દૂર થાય.
  • તાંબાનાં બનેલા વાસણમાં પાણી પીવાથી લોહી સાફ થાય.
  • યાદશક્તિ વધે અને લીવરની સમસ્યા દૂર થાય.
  • તાંબાનાં બનેલા વાસણમાં પાણી પીવાથી શરીર ડિટોક્સિફાય થાય.
  • સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય.
  • તાંબાના વાસણમાં ભોજન કરવાથી પણ ફાયદો થાય.
  • તાંબાના વાસણમાં દૂધ ન પીવું જોઈએ.
  • ભોજન માટે કાંસાનાં વાસણ પણ યોગ્ય.
  • જમવા માટે કાંસાના વાસણથી વધુ સારી ધાતુ કોઈ નથી.
  • કાંસાની થાળીમાં ખોરાક ખાવાથી મગજ તેજ થાય.
  • લોહી સાફ રહે અને ભૂખ પણ વધે.
  • કાંસાના વાસણમાં ખાટી વસ્તુઓ ન પીરસવી જોઈએ.
  • આ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી ખાટી વસ્તુઓ ઝેરી બની જાય

એલ્યુમિનિયમનાં વાસણો પણ બહું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેમ કે એલ્યુમિનિયમનાં વાસણો સસ્તાં છે. કોઈ પણ રસોડું એલ્યુમિનિયમના વાસણો વગર અધૂરું લાગે છે. માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનાં વાસણો વપરાય છે. કૂકવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના કહેવા પ્રમાણે અમેરિકામાં પણ 60 ટકા કૂકવેર એલ્યુમિનિયમનાં હોય છે. કારણ કે એલ્યુમિનિયમનાં વાસણોમાં ખોરાક ઝડપથી ગરમ થાય છે તેથી તેમાં ઝડપથી ખાવાનું બને છે. આયર્નની જેમ એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધવામાં આવે ત્યારે એલ્યુમિનિયમ ભોજનમાં ભળે છે અને શરીરમાં જાય છે.

શરીર માટે વધારે એલ્યુમિનિયમ સારું નથી. આયુર્વેદ અનુસાર, એલ્યુમિનિયમનાં વાસણોમાં બનેલો ખોરાક આયર્ન અને કેલ્શિયમને શોષી લે છે, તેથી એલ્યુમિનિયમનાં વાસણોનો ઉપયોગ ના કરવો જોઈએ.

એલ્યુમિનિયમ યોગ્ય નથી

  • એલ્યુમિનિયમ શરીરમાં વધારે જતું રહે તો નુકસાન.
    એલ્યુમિનિયમનાં વાસણો બોક્સાઈટથી બનાવવામાં આવે.
  • એલ્યુમિનિયમથી બનેલા વાસણમાં ખાવાનું ખાવાથી હાડકાં નબળાં પડે.
  • માનસિક બીમારીઓ થાય, લિવર અને નર્વસ સિસ્ટમને નુકસાન.
  • કિડની ફેલ્યોર, ટીબી, અસ્થમા, સંધિવા, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો પણ થાય.
  • એલ્યુમિનિયમના પ્રેશરકૂકર લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં અવેલેબલ.
  • એલ્યુમિનિયમ પ્રેશરકૂકરથી રાંધવાથી 87 ટકા પોષણ દૂર થાય.
  • આ વાસણનો ઉપયોગ બંધ કરવો જોઈએ એવી સલાહ.
  • એલ્યુમિનિયમ શરીર માટે નુકસાનકારક.

એલ્યુમિનિયમનાં વાસણોમાં એક તકલીફ એ છે કે, એલ્યુમિનિયમના વાસણો એસિડિક ફૂડ્સ સાથે વધારે રિએક્શન આપે છે. આ કારણે એલ્યુમિનિયમના કણ ભોજનમાં ભળી જાય છે અને ધીરે ધીરે એલ્યુમિનિયમની માત્રા શરીરમાં વધી જાય છે. ઘણા રિસર્ચ આ વિષયમાં કરવામાં આવ્યા છે અને તેમાં તારણ નીકળ્યું છે કે આ કણ સરળતાથી મળ તરીકે નીકળી જાય છે. ભોજનને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવામાં આવે છે એ પાછળનું કારણ આ જ છે. એલ્યુમિનિયમના વાસણમાં શું ના બનાવવું જોઈએ એ અંગે નિષ્ણાતો સલાહ આપે છે કે જેથી આરોગ્યની તકલીફો ના થાય. વધારે એલ્યુમિનિયમ કેટલીક શારીરિક તકલીફો ધરાવતાં લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જોકે, મોટા ભાગનાં લોકોને તકલીફ નથી આપતું કેમ કે એ ઝેરી નથી. મતલબ કે, એલ્યુમિનિયમનાં વાસણો ટોક્સિક નથી. જોકે એલ્યુમિનિયમમાંથી જ બનતાં નોન-સ્ટિક કૂકવેર ટોક્સિક એટલે કે ઝેરી છે. ઘરોમાં રસોઈ બનાવવા માટે નોન-સ્ટિક કૂકવેર અથવા અન્ય વાસણોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે પણ તેની ઝેરી અસર થાય છે.

નોન-સ્ટિકને કહો ના

  • નોનસ્ટિક વાસણો સરળતાથી ઉપલબ્ધ અને લોકપ્રિય.
  • આવાં વાસણો ગરમ થાય ત્યારે એના કોટિંગમાં રહેલા રસાયણો બહાર આવે.
  • આપણા ખોરાક મારફત શરીરમાં પ્રવેશે ત્યારે ખતરનાક.
  • નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ.
  • નિષ્ણાતોના મતે, નોન-સ્ટિક કૂકવેર ખતરનાક.
  • નોન-સ્ટિક કૂકવેરમાં ઝેરી કેમિકલ્સ.
  • નોન-સ્ટિક કૂકવેર સમય બચાવીને ઝડપથી રસોઈ કરવામાં ઉપયોગી.
  • નોન-સ્ટિક કૂકવેરમાં થોડા પ્રમાણમાં તેલનો ઉપયોગ.
  • નોન-સ્ટિક કૂકવેરમાં બનાવેલી રસોઈથી ઘણા રોગોથી બચી શકાય એવી માન્યતા.
  • નોન-સ્ટિક કૂકવેરના ઉપયોગથી અનેક તકલીફો.
  • નોન-સ્ટિક પોટ્સને પરફ્લોરોક્ટાનોઇક એસિડ નામના કેમિકલમાંથી બનાવાય.
  • આ કેમિકલના વધુ પડતા ઉપયોગથી પોલિમર ફ્યુમ ફીવરની તકલીફનો ખતરો.
  • અમેરિકામાં આ ફીવરના કારણે મોટા પ્રમાણમાં મોત થયાં.
  • આખરે આ કેમિકલનો 2013માં સંપૂર્ણપણે નાશ કરી દેવાની જાહેરાત.
  • વાસ્તવમાં આ કેમિકલ હજુય ઉપબલ્ધ.
  • નોન-સ્ટિક કૂકવેર બનાવવામાં એનો હજુય ઉપયોગ

અમેરિકન કેન્સર સોસાયટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોન-સ્ટિક વાસણોના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવી ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. એનું કારણ એ કે, નોન-સ્ટિક કૂકવેરમાં કાર્સિનોજેનિક્સ હોય છે અને કાર્સિનોજેન્સના સંપર્કમાં આવવાથી કેન્સર થવાનું જોખમ હોય છે. આ કાર્સિનોજેનિક્સ ટેફલોનના કારણે આવે છે.

નોન-સ્ટિકને કહો ના

  • નોન-સ્ટિક કૂકવેર બનાવવા માટે ટેફલોન વપરાય.
  • નોન-સ્ટિક કૂકવેરમાં ટેફલોનનો ઉપયોગ કોટિંગ માટે.
  • ટેફલોનના કારણે રસોઈ કરવી અને વાસણો સાફ કરવાં સરળ.
  • ટેફલોનની આડઅસરો ખતરનાક.

નોન-સ્ટિક કૂકવેરને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે નોન-સ્ટિક વાસણો હાનિકારક પરફ્લોરિનેટેડ કેમિકલ્સ છોડે છે. આ કેમિકલ્સ ખાવામાં ભળે છે અને આપણા શરીરમાં જાય છે. શરીરમાં વધુ પડતાં પરફ્લોરિનેટેડ કેમિકલ્સ કેન્સરનું જોખમ વધારી શકે છે. લોકો નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે કેમ કે તેમાં ખોરાક ઝડપથી બને છે. જોકે, એના કોટિંગથી શરીરને જીવલેણ નુકસાન પણ થઈ શકે છે. નોન-સ્ટિક કૂકવેરમાં શરીરને નુકસાન કરતું પોલિટટ્રાફ્લોરોઇથિલિન નામનું તત્વ હોય છે. પોલિટટ્રાફ્લોરોઇથિલિનના કારણે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી તકલીફો થઈ શકે છે. નોન-સ્ટિક કૂકવેરના ઉપયોગથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોન-સ્ટિક કૂકવેરના કારણે બીજો મોટો ખતરો લીવર કેન્સરનો છે. લીવર કેન્સર વિશ્વભરમાં 6ઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર હતું અને કેન્સરથી થતા મૃત્યુમાં લીવર કેન્સરના કારણે થતાં મોત ત્રીજા નંબરે હતાં.

હાનિકારક કેમિકલ

  • લીવર કેન્સર માટે PFAS તત્ત્વ પણ જવાબદાર.
  • કેમિકલનો ઉપયોગ નોન-સ્ટિક કૂકવેર બનાવવામાં થાય.
  • PFAS લીવરના સેલ્સને નુકસાન પહોંચાડે.
  • આ રસાયણને ફોરએવર કેમિકલ કહેવામાં આવે.
  • આ કેમિકલ સરળતાથી નષ્ટ નથી થતું.
  • મનુષ્યના શરીરમાં લીવર સહિતનાં અંગોમાં જમા થઈ જાય.
  • ફોરએવર કેમિકલ વ્યક્તિમાં લીવર કેન્સરના જોખમને વધારી શકે.
  • PFASનો ઉપયોગ શેમ્પુ સહિતની ઘણી ચીજોમાં થાય.
  • નોન-સ્ટિક વાસણોના ઉપયોગથી બીજી પણ સમસ્યાઓ થઈ શકે.
  • નોન-સ્ટિક વાસણોના વધુ પડતા ઉપયોગથી થાઇરોઇડ વધવાની સમસ્યા.
  • નોન-સ્ટિક વાસણોમાં રસોઈ કરવાથી શરીરમાં આયર્નની ઉણપ.
  • લોહી બનવા પર અસર થવાથી એનીમિયાનું જોખમ.
  • નોન-સ્ટિક પોટ્સમાં ખોરાક ખાવાથી મગજને લગતી બીમારી થવાનું જોખમ.
  • માંસપેશીઓ અને હાડકાંને ઘણું નુકસાન થઈ શકે.
  • નોન-સ્ટિક વાસણોમાં રાધેલું ખાવાથી હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સની સ્થિતિ.
  • જેનાથી હૃદયરોગનો ખતરો વધી જાય.
  • પ્રજનનક્ષમતા ઓછી થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે.
  • નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ.

અલબત્ત નિષ્ણાતોનું માનવું છે કે, નોન-સ્ટિક વાસણના ઉપયોગની યોગ્ય રીત અપનાવાય તો આ ખતરાથી મહદ અંશે બચી શકાય છે. આ નિષ્ણાતોના મતે, રસોઈ બનાવતી વખતે નોન-સ્ટિક વાસણોમાં ખોરાકને ધીમા તાપે રાંધવો જોઈએ. આ ઉપરાંત સાફ કરતી વખતે નોન-સ્ટિક વાસણને વધારે ઘસવાં કે ખોતરવાં જોઈએ નહીં. જે ચીજ બનાવવા માટે વધારે તાપની જરૂર પડે તેને બનાવવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરો. માર્કેટમાં નોન-સ્ટિક વાસણો માટે ખાસ ચમચા મળે છે. તેનો ઉપયોગ કરો. કારણ કે, સાદા ચમચાથી ટેફલોનનું કોટિંગ ખોરાકમાં ભળી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નોન-સ્ટિક વાસણોને સાફ કરવાની ખાસ પદ્ધતિ હોય છે. તે મુજબ તેને સાફ કરવા જોઇએ.

જૂના, કોટિંગ ઘસાઈ ગયું હોય તેવા નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જોકે ગમે તેટલી સાવચેતી રાખો પણ ખતરો તો છે જ તેથી બને તો નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ ટાળો.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એટલે કે NIN દ્વારા આહાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 13 વર્ષ પછી બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં રસોઈ અને રસોઈનાં વાસણો વિશે ઘણી એવી વાતો છે કે જે આપણા માટે ફાયદાકારક છે. આ માર્ગદર્શિકામાં ભારતીય પુરુષો અને સ્ત્રીઓએ રોજ કેટલો આહાર લેવો જોઈએ, કેટલા પોષક તત્ત્વો જરૂરી હોય છે, સ્તનપાન કરાવતી માતાઓ, બાળકોના આહારમાં શું હોવું જોઈએ ત્યાંથી માંડીને રસોઈનાં વાસણો સુધીની માહિતી આપવામાં આવી છે. ‘ભારતીયો માટેની આહાર માર્ગદર્શિકા’ નામના આ રિપોર્ટમાં રસોઈની પદ્ધતિઓ અને રસોઈનાં વાસણો વિશે પણ રસપ્રદ માહિતી છે.

ICMR અને NINની આ નવી માર્ગદર્શિકામાં માટીનાં વાસણો, સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણો, અને ગ્રેનાઇટ પત્થરનાં વાસણો વિશે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે, હવે ઓછા વજનના ગ્રેનાઇટ સ્ટોન કૂકવેર ઉપલબ્ધ છે.

ગ્રેનાઇટ સ્ટોન કૂકવેર પણ સારો વિકલ્પ

  • આ વાસણોમાં ઓછો સમય અને ઓછી ઊર્જાનો વપરાશ કરીને રાંધી શકાય.
  • ગ્રેનાઇટ સ્ટોન કૂકવેર ગરમીને સારી રીતે જાળવી રાખે.
  • ગેસ સ્ટવ બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી ગરમી જાળવી રાખે.
  • આ વાસણોમાં ટેફલોન કોટિંગ ન હોય તો તેનો વપરાશ સલામત મનાય.
  • માર્ગદર્શિકા મુજબ, રસોઈ માટે માટીનાં વાસણો સલામત.
  • માટીનાં વાસણોમાં રાંધવાથી ઉષ્ણતા તમામ ઘટકોમાં પ્રવેશે.
  • પોષક મૂલ્યો જળવાઈ રહે.
  • સ્ટીલનાં વાસણોમાં રાંધવાથી ખાદ્ય પદાર્થો પર પ્રતિકૂળ અસર ન થાય.

આ ઉપરાંત એવી ચેતવણી પણ અપાઈ છે કે, અથાણું, ચટણી, સાંભર જેવાં ખાદ્ય પદાર્થો ઍલ્યુમિનિયમ, લોખંડ, કાંસા અને તાંબાના વાસણોમાં રાખવાં ન જોઈએ. આ માર્ગદર્શિકામાં પણ નોન-સ્ટિક કૂકવેરનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ છે. આ માર્ગદર્શિકા તૈયાર કરનાર નિષ્ણાતોનું કહેવું છે કે ટેફલોન કોટિંગ સાથેના નોન-સ્ટિક પેનને 170 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ કરવામાં આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે. આવા ખાલી પેનને લાંબા સમય સુધી તાપ પર રાખવામાં આવે તો માઠી અસર થઈ શકે છે. લાંબા સમય સુધી ગરમ કરવાથી નોન-સ્ટિક કૂકવેર ઝેરી ધૂમાડો પેદા કરી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નોન-સ્ટિક કૂકવેરનો ઉપયોગ કરતી વખતે સફાઈ અને ઉપયોગ માટેની સૂચનાઓનું પાલન ચુસ્ત રીતે કરવું જોઈએ. નોન-સ્ટિક કૂકવેર પરનું કોટિંગ ઊખડી જાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ પ્રકારનાં કૂકવેરનો ઉપયોગ સ્વાસ્થ્ય સામે બહુ મોટો ખતરો પેદા કરે છે. જોકે, માત્ર નોન-સ્ટિક કૂકવેરથી જ કેન્સરનો ખતરો નથી પણ ઘરમાં વપરાતી ઘણી ચીજો કેન્સરને નિમંત્રણ આપે છે. પ્લાસ્ટિકના કન્ટેનર, ઘરગથ્થુ ક્લીનર્સ, મીણબત્તીઓનો ઉપયોગ કેન્સર ફેલાવી શકે છે. તાજેતરના અભ્યાસમાં માઇક્રોપ્લાસ્ટિકના ઉપયોગ નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે, કારણ કે માઇક્રોપ્લાસ્ટિક કેન્સરનું જોખમ વધારે છે. પ્લાસ્ટિકના વાસણો-કન્ટેઇનર ઉપરાંત પોલિથીન બેગથી પણ કેન્સરનું જોખમ રહે છે. પ્લાસ્ટિકના ટિફિનમાં ગરમ ખોરાક રાખવાથી અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી હાનિકારક તત્ત્વો શરીરમાં પ્રવેશે છે. પ્લાસ્ટિકના કન્ટેઇનરમાં બિસ્ફેનોલ-એ અને ફથેલેટ્સ હોઈ શકે છે. જે કેન્સરનું કારણ બને છે. આ સિવાય ઘણાં પેઇન્ટ્સ, વાર્નિશ અને ફ્લોર ક્લીનર્સ પણ કેન્સરનું જોખમ ઊભું કરે છે. કેમ કે તેમાં બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ અને ટોલ્યુએન નામના ખતરનાક રસાયણો હોય છે. લાંબા સમય સુધી તેમના સંપર્કમાં આવતા લોકો માટે હાનિકારક આ તત્વોના કારણે કેન્સર સહિત અનેક ખતરનાક રોગો થઈ શકે છે.

આરોગ્ય નિષ્ણાતો તેમની સાથે ઓછા સંપર્કમાં આવવાની સલાહ આપે છે. આ જ વાત નોન-સ્ટિક કૂકવેરને પણ લાગુ પડે છે તેથી તેનાથી દૂર રહેવું જ હિતાવહ છે.