July 5, 2024

ગુજરાત કેવી રીતે કરશે ભરોસો?

Prime 9 With Jigar: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા હુંકારના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતની ફરી એક વાર ચર્ચા છે. રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન આક્રમક અંદાજમાં બહું બધી વાતો કરી. રાહુલ ગાંધીએ BJPના નેતાઓના હિન્દુત્વ અંગે કરેલી ટીપ્પણીના કારણે હોબાળો પણ થઈ ગયો છે…અને રાહુલે કહ્યું કે INDI ગઠબંધન ગુજરાતમાં BJPને હરાવશે….

રાહુલે સંસદમાં શિવજીની તસવીર બતાવી અને કહ્યું કે જે પોતાને હિંદુ ગણાવે છે તેજ હિંસા ફેલાવે છે……તો સામે BJPએ કહ્યું કે રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહ્યા અને તમામ હિંદુઓનું અપમાન કર્યું…..અને હવે આજ વાતના પડઘા ગુજરાતમાં પડ્યા…..નેતાઓ એવા વિફર્યા કે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રિતસરનો પથ્થરમારો થયો અને મામલો વધારે ગરમાઈ ગયો..હવે સવાલ એજ થઈ રહ્યો છે કે રાહુલ ગુજરાત કેવી રીતે કરશે ભરોસો….આ હોબાળાના કારણે રાહુલના નિવેદનનો મુદ્દો વધારે ચર્ચામાં છે અને રાહુલે ગુજરાતની ચૂંટણી અંગે કરેલા નિવેદનની વાત બાજુ પર મૂકાઈ ગઈ પણ રાહુલે ગુજરાત અંગે કરેલું નિવેદન અત્યંત સૂચક છે. રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે કે, ગુજરાતમાં અમે આવતી ચૂંટણીમાં BJPને હરાવીશું. રાહુલે દાવો કર્યો કે, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખીને રાખો, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં BJPને હરાવશે.રાહુલે નીટની પરીક્ષા, અગ્નિવીર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની અવદશા સહિતના મુદ્દાની વચ્ચે GSTની વાત કરતાં કરતાં ટેક્સટાઈલ વેપારીઓની વાત કરીને ગુજરાતને અને ગુજરાતની ચૂંટણીને ચર્ચામાં લાવી દીધી છે.

રાહુલે શું કહ્યું

  • નિયમિત રીતે ગુજરાતની મુલાકાત લેવાનો રાહુલનો દાવો
  • કાપડના અનેક વેપારીઓને મળ્યો
  • GSTના કારણે તમામ વેપારીઓ પરેશાન
  • વેપારીઓએ કહ્યું કે GST મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા
  • નોટબંધી પણ અબજપતિઓના ફાયદા માટે,
  • લોકોમાં ગુજરાત સરકાર સામે આક્રોશ
  • આક્રોશના કારણે ઇન્ડી ગઠબંધન આ વખતે ગુજરાતમાં જીતશે
  • રાહુલના આ નિવેદને રાજકીય રીતે ઉત્તેજના જગાવી
  • રાહુલે અત્યારે કેમ ગુજરાતની ચૂંટણીની વાત કરી ?

ગુજરાતમાં તો હજુ છેક 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જ્યારે બીજાં રાજ્યોમાં નજીકમાં જ વિધાનસભાની ચૂંટણી છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના મહિના બચ્યા છે. આમ છતાં આ રાજ્યોના બદલે રાહુલે ગુજરાતની ચૂંટણીઓની વાત કેમ કરી ? હમણાં જ યોજાઈ ગયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ BJPને આંચકો આપવામાં સફળ રહી છે.

2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતનારો BJP 2024માં તમામ 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપની હેટ્રિક ના કરી શક્યો.

બનાસકાંઠામાં આંચકો

  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે BJPનાં રેખા ચૌધરીને હરાવ્યાં
  • BJPની ક્લીન સ્વીપની મહેચ્છા પર પાણી ફેરવી દીધું
  • રાહુલનો આત્મવિશ્વાસ ગેનીબેન ઠાકોરની જીતની અસર છે ?
  • ગુજરાતમાં BJP વિરોધી માહોલ ઊભો થઈ રહ્યો હોવાના કોઈ ઇનપુટ્સ મળ્યા ?
  • ગુજરાત દાયકાઓથી BJPનો ગઢ
  • રાહુલે માત્ર હવામા તીર ચલાવી દીધું કે ચોક્કસ તર્કને આધારે આ વાત કરી ?

આ બધા સવાલોની સાથે એક મહત્વનો સવાલ એ પણ પૂછાઈ રહ્યો છે કે, રાહુલ ગાંધી ગુજરાતમાં ભલે જીતના ગમે તે દાવા કરે પણ ખરેખર ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે તેમ છે ખરી ? આ સવાલ પણ મહત્વનો છે કેમ કે 2024ની લોકસભા ચૂંટણીનાં અને 2022ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જોતાં ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે એવા અણસાર નથી દેખાતા.

કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ

  • 2022ની ચૂંટણીમાં BJPએ 182માંથી 156 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો
  • કોંગ્રેસે ઐતિહાસિક તળે, માત્ર 17 બેઠકો જીતી
  • કોંગ્રેસે સૌથી ઓછી બેઠક જીતવાનો રેકોર્ડ બનાવ્યો
  • 2024ના ચૂંટણી પરિણામથી કોંગ્રેસમાં થોડું જોમ આવ્યું
  • ગુજરાતમાં કોંગ્રેસે માત્ર 1 જ બેઠક જીતી
  • ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યો જેવો જબરદસ્ત દેખાવ નથી કર્યો

કોમી રમખાણોના કારણે સતત ફફડાટમાં અને અસલામતીમાં જીવનારા ગુજરાતીઓને પોતાની સુરક્ષા અને સલામતી PM મોદીમાં જ દેખાય છે. ગુજરાતીઓ બીજા બધા મુદ્દાને બાજુ પર મૂકીને માત્ર સુરક્ષા અને સલામતીને મહત્વ આપીને BJPને પસંદ કરે છે, તેથી BJP સતત જીતે છે. કેન્દ્રમાં BJP છેલ્લાં 10 વર્ષથી શાસનમાં છે. BJPના શાસનમાં મોંઘવારી વધી છે, આર્થિક તકલીફો વધી છે એ હકીકત છે પણ ગુજરાતની પ્રજાએ એ વાતોને મહત્વ આપ્યું નથી. તેનું કારણ કદાચ એ છે કે, ગુજરાતની પ્રજા મહેનતુ અને બિઝનેસ માઈન્ડેડ પણ છે. તમે શાંતિથી રહી શકો, સલામતીથી જીવી શકો તો પૈસા તો મહેનત કરીને ગમે તેટલા કમાઈ લઈશું પણ શાંતિ અને સલામતી નહીં હોય તો કશું કામનું નથી એવી ગુજરાતીઓની માનસિકતા છે.આ માનસિકતા સાચી પણ છે. દુનિયામાં જે પણ દેશોએ આર્થિક વિકાસ કર્યો એ બધા દેશોમાં સુરક્ષા અને સલામતી છે. લોકો કોઈ પણ ચિંતા કર્યા વિના સખત મહેનત કરીને કમાય છે અને જલસાથી જીવે છે. તેની સામે જે દેશોમાં આંતરિક વિખવાદો અને ઝઘડા છે, તોફાનો થયા કરે છે એ દેશોમાં પ્રગતિ થતી નથી. ઇરાક, પાકિસ્તાન, સીરિયા, લિબિયા વગેરે સંખ્યાબંધ મુસ્લિમ રાષ્ટ્રોની હાલત જોશો તો આ વાત સમજાશે. તેની સામે અમેરિકા, જાપાન કે દક્ષિણ કોરીયા જેવા એશિયન દેશો, યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા વગેરે શાંતિ અને સલામતીના કારણે પ્રગતિ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા મુસ્લિમ રાષ્ટ્રોને પણ આ વાત ધીરે ધીરે સમજાઈ રહી છે. ગુજરાતીઓ સમજુ પ્રજા છે તેથી વર્ષો પહેલા તેમને આ વાત સમજાઈ ગઈ.અમે ગુજરાતમાં કોની જીતની ગેરંટી છે એના વિશે વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.

કોંગ્રેસની દશા અને દિશા

  • કોંગ્રેસ પાસે નેતાગીરી નથી, સંગઠન નથી
  • જનાક્રોશનો લાભ લેવાની તાકાત નથી
  • મતદારોને આકર્ષવાની ક્ષમતા નથી
  • કોંગ્રેસના નેતાઓમાં કોઈ કરિશ્મા નથી
  • ગુજરાતમાં BJP અત્યારે મજબૂત સ્થિતિમાં

લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને સોશિયલ મીડિયાથી માંડીને સામાન્ય લોકો સુધી બધાં BJPને 370 બેઠકો મળવાની આગાહી કરતાં હતાં પણ BJP સ્પષ્ટ બહુમતી પણ ના મેળવી શકી. BJP 240 બેઠકો પર અટકી ગઈ અને નરેન્દ્ર મોદીએ ચંદ્રાબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDUના સહારે સરકાર રચવી પડી છે. આ વાસ્તવિકતા નજર સામે છે એ જોતાં રાજકારણમાં ગમે તે બની શકે એ સ્વીકારવું પડે અને ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે, BJP હારી શકે એ પણ શક્ય છે એ સ્વીકારવું પડે. બીજી પણ એક વાત સમજવી જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં BJP હારી , એટલે કે સ્પષ્ટ બહુમતી ના મેળવી શકી, એનું કારણ કોંગ્રેસ મજબૂત થઈ છે નથી પણ BJP નબળો પડી એ છે. BJP નબળો પડી એનો લાભ બધા પક્ષોને મળ્યો છે. ગુજરાતમાં પણ એવું થઈ જ શકે છે તેથી ગુજરાતમાં કોંગ્રેસ ભલે તાકાતવર ના થઈ હોય પણ BJP નબળી પડે તેનો લાભ કોંગ્રેસને મળે એવું બને.

રાહુલની વાત પાછળ કોઈ તર્ક હોય કે ના હોય પણ રાજકારણની આ વાસ્તવિકતાને કારણે પણ રાહુલની વાત સાચી પડી શકે છે.

BJPનું રિપોર્ટ કાર્ડ

  • ગુજરાતમાં અત્યારે BJP મજબૂત
  • જેનું કારણ PM મોદીની હિન્દુવાદી ઈમેજ
  • BJP ગુજરાતમાં સળંગ 26 વર્ષથી સત્તામાં
  • 1995થી સળંગ સાત વાર વિધાનસભાની ચૂંટણી જીતી
  • 1995માં પહેલી વાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં BJPની જીત
  • શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે BJPની સરકારનું પતન
  • શંકરસિંહ વાઘેલાએ BJPમાં ભંગાણ પાડીને નવો પક્ષ બનાવ્યો
  • રાષ્ટ્રીય જનતા પાર્ટીએ શંકરસિંહ અને દિલીપ પરીખ એમ બે મુખ્યમંત્રી આપ્યા
  • કોંગ્રેસના ટેકાથી ટકેલી દિલીપ પરીખની સરકારનું 1998માં પતન

આ 26 વર્ષમાં BJPએ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ એમ પાંચ મુખ્યમંત્રી આપ્યા છે. આ પૈકી કેશુભાઈ પટેલના શાસનમાં ગુજરાતમાં BJP હારવાની સ્થિતિમાં આવી ગઈ કેમ કે હિંદુઓ BJPથી વિમુખ થવા માંડ્યા. જોકે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. હિંદુઓ આજેય BJP સાથે કેમ છે તેનાં કારણો સમજવા જેવાં છે.

BJPને શા માટે સાથ ?

  • ગુજરાતે 1980 અને 1990ના દાયકામાં સતત કોમી રમખાણો જોયાં
  • કોંગ્રેસના શાસન વખતે રમખાણો થતા
  • મુસ્લિમ બુટલેગરો અને ગુંડાઓને સામે કોંગ્રેસના રાજમાં કાર્યવાહી નહીં
  • લતિફ જેવા ગુંડાએ પોલીસ અધિકારીની પણ હત્યા કરી.
  • હિન્દુઓમાં કોંગ્રેસ સામે ભારે આક્રોશ
  • BJPએ લતિફ સહિતના ગુંડાઓ સામે જાહેરમાં આક્રોશ બતાવ્યો
  • BJPએ એ જ અરસામાં રામમંદિરના નિર્માણની ચળવળ શરૂ કરી
  • ગુજરાતમાં 1990થી સતત ચૂંટણીઓમાં BJPની જીત

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયથી BJPની હિન્દુવાદી પાર્ટી હોવાની છાપ છે તેનો લાભ BJPને મળે છે. PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીનાં ફળ પણ હજુ BJP ચાખી રહી છે તેમાં શંકા નથી. આ બધાં કારણે BJP મજબૂત છે જ પણ તેની નબળાઈઓ પણ છે. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ BJPની સરકારો છે. આજે પણ મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ છે. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ સામે લોકોમાં ભારે આક્રોશ છે. મોંઘું થતું જતું શિક્ષણ અને આરોગ્ય સેવાઓના કારણે પણ મધ્યમ વર્ગપરેશાન છે. અત્યારે આ આક્રોશનો લાભ લેવાની કોંગ્રેસમાં તાકાત કેટલી છે એ સવાલ છે.