July 1, 2024

Prime 9 With Jigar: ભારતમાં વધી રહેલું હવાનું પ્રદૂષણ નાનાં બાળકોને ભરખી રહ્યું છે. કોઈના માન્યામાં આ વાત નહીં આવે પણ આ વાત સાવ સાચી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ હમણાં જ બહાર પડ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, 2021માં ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.70 લાખ બાળકોના મૃત્યુ થયાં હતાં. વિશ્વમાં આરોગ્ય વિષયક બાબતો અંગે સંશોધન કરતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશને આ સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ બહાર પાડ્યો છે.

હવામાં ભળ્યું ઝેર

  • દક્ષિણ એશિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને જોખમ.
  • 1 લાખ બાળકોમાંથી 164 બાળકોનાં હવાના પ્રદૂષણનાં કારણે મોત.
  • વૈશ્વિક સ્તરે પ્રતિ 1 લાખ બાળકોએ 108 મૃત્યુ.
  • દક્ષિણ એશિયામાં વૈશ્વિક સ્તર કરતાં હવાના પ્રદૂષણના કારણે મોતનો દર વધારે.
  • હવાના પ્રદૂષણના કારણે થતાં મોતના મામલે દુનિયામાં નંબર વન ભારત.

2021ના આંકડા પ્રમાણે દુનિયાની સ્થિતિ કેવી ?

  1. ભારતમાં 169,400 બાળકોનાં મૃત્યુ.
  2. નાઈજીરિયામાં 114,100 બાળકોનાં મૃત્યુ.
  3. પાકિસ્તાનમાં 68,100 બાળકોનાં મૃત્યુ.
  4. ઈથોપિયામાં 31,100 બાળકોનાં મૃત્યુ.
  5. બાંગ્લાદેશમાં 19,100 બાળકોનાં મૃત્યુ.

ભારતની વસતી 140 કરોડની છે એ જોતાં બીજા દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુનું પ્રમાણ કદાચ વધારે ના લાગે પણ ઈથોપિયા કે નાઈજીરિયા જેવા સાવ પછાત અને ભૂખમરાના કારણે મરતા દેશો કરતાં ભારતમાં બાળકોનો મૃત્યુ આંક વધારે હોય એ યોગ્ય નથી. ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે બાળકોનાં મોતનો આંકડો વધી રહ્યો છે. WHOના છ વર્ષ પહેલાંના રિપોર્ટમાં પ્રમાણે, ભારતમાં પ્રદૂષણના કારણે વર્ષ 2016માં 1.10 લાખ બાળકોનાં મોત થયા હતા. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુના આંકડામાં ભારતે સમગ્ર વિશ્વને પાછળ છોડ્યું હતું. 2016માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 60,987 બાળકોનાં વાયુ પ્રદૂષણના કારણે મોત થયાં હતાં.

ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ

  • દર વર્ષે વીસ લાખથી વધારે લોકો પ્રદૂષિત હવાને કારણે ગુમાવે છે જીવ.
  • ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ સ્થાને.
  • કાનપુર બીજા સ્થાને અને ગુરૂગ્રામ ત્રીજા સ્થાને.
  • દુનિયાના સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાં ભારતનાં શહેરોનો સમાવેશ.
  • ભારતમાં પ્રદૂષણના કારણે થતાં મોતનું પ્રમાણ વધારે.

રિપોર્ટ પ્રમાણે નાનાં બાળકોમાં હવાના પ્રદૂષણના કારણે થતાં મોત માટે ફાઈન PM 2.5 જવાબદાર …PMનો મતલબ છે, PARTICULATE MATTER….PARTICULATE MATTER ધૂળ અને ગંદકીના સૂક્ષ્મ કણ છે જે શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે આપણે શ્વાસમાં હવાના જે કણો લઈએ તેમનો વ્યાસ 2.5 માઈક્રોનથી ઓછો હોય તો આ કણો બહુ સરળતાથી આપણાં ફેફસાં સુધી પહોંચી જાય છે. 2.5 માઈક્રોનથી ઓછો વ્યાસ હોય તેનો મતલબ કે, અત્યંત સૂક્ષ્મ કણો છે તેથી તેમને શરીરમાં અંદર સુધી ઘૂસી જતાં રોકી શકાતાં નથી. આ કણો પ્રદૂષિત હોય તો તેના કારણે ફેફસાંને ગંભીર નુકસાન થાય છે. અત્યારે હવા પ્રદૂષિત થઈ ગયેલી છે તેથી તમામ કણો પ્રદૂષિત જ હોય છે તેથી PM 2.5 કણો ખતરનાક મનાય છે.

સૂક્ષ્મ કણોની ભારે અસર

  • પ્રદૂષણ ના હોય એ વિસ્તારના કણો આપણના સ્વાસ્થ્યને નુકસાન નથી કરતા.
  • 2.5 માઈક્રોનથી ઓછો વ્યાસ ધરાવતા કણો સ્વાસ્થ્ય માટે ખતરનાક.
  • 78 લાખ લોકોના મોત માટે પીએમ 2.5 પ્રદૂષણ જવાબદાર.
  • 2.5 માઈક્રોમીટરથી ઓછો વ્યાસ ધરાવતા સૂક્ષ્મ કણો ફેફસામાં રહી જાય.

હવામાં ઝેર

  • હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ફેફસાના કેન્સર સહિતની બીમારીઓનું જોખમ.
  • હવાના પ્રદૂષણને કારણે થતા નુકસાનની શરૂઆત ગર્ભાશયથી.
  • ખરાબ અને ખતરનાક સ્વાસ્થ્યની અસરો જીવનભર ટકી શકે.
  • ગર્ભાશયથી જ બાળકોને માનસિક અને શારીરિક પંગુતા આપી શકે.
  • બાળકોમાં ન્યુમોનિયા અને અસ્થમા થવાનો ખતરો વધી જાય.
  • પાંચમાંથી એક બાળક એટલે 20%ના મૃત્યુ માટે ન્યુમોનિયા જવાબદાર.
  • બીજા સ્થાને અસ્થમા છે કે જે મોટાં બાળકોમાં સૌથી વધુ જોવા મળે.
  • હવાના પ્રદૂષણના કારણે નાનાં બાળકોમાં પણ અસ્થમાનું પ્રમાણ.

પહેલાં એવી માન્યતા હતી કે, નાનાં બાળકો ઘરની બહાર નીકળીને રમે તો તેમનું આરોગ્ય સારું રહે છે અને બાળકોનો શારીરિક વિકાસ થાય છે પણ વધતા પ્રદૂષણના કારણે હવે ખુલ્લી હવામાં ફરવું જોખમી સાબિત થઈ રહ્યું છે.સતત વધી રહેલા પ્રદૂષણના કારણે બહાર નીકળવું પણ ઘાતક છે. બાળકો મોટા થાય એટલે બહાર રમવા જાય છે.

બહાર રમવું જોખમી

  • બાળકો ઘરમાં ઓછો સમય વીતાવે.
  • બહાર વધારે રહે, એટલે ખતરો વધી જાય.
  • જાહેરમાં રસ્તામાં પ્રદૂષણના કણ નીચેની તરફ વધારે એકઠા થયેલા હોય.
  • બાળકોની ઊંચાઈ ઓછી હોવાના કારણે તેની વધુ અસર થાય.
  • બાળકો સવારે શાળાએ જાય છે ત્યારે પ્રદૂષણની માત્રા વઘુ હોય.
  • જેના કારણે નાની ઉંમરમાં જ બાળકો બહારના પ્રદૂષણનો ભોગ બને.

પ્રદૂષણના કારણે સમય પહેલાં ડિલિવરી અને જન્મથી જ બાળકને કોઈ ને કોઈ બિમારી સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
વાયુ પ્રદૂષણ ખતરનાક છે અને આ પ્રદૂષણ માતાના રસ્તે બાળકો સુધી પહોંચી જાય છે.

જન્મ પહેલાં જ આફત

  • ગર્ભધારણના છેલ્લા મહિનાઓમાં પ્રદૂષણની સૌથી વધુ અસર.
  • હવામાં ઉપસ્થિત PARTICULATE MATTER તેમના શરીરમાં પ્રવેશે.
  • માતાના શરીરમાં પ્રવેશ્યા બાદ PARTICULATE MATTERના કેટલાક કણ ફેફસામાં ચોંટી જાય.
  • કેટલાંક કણ લોહીમાં પણ ભળી જાય છે જ્યારે કેટલાક કણ પ્લેસેન્ટા સુધી પહોંચી જાય.
  • પ્લેસેન્ટા ગર્ભની નજીક હોય છે કે જેમાંથી બાળકને પોષણ મળે.
  • સફેદ રક્તકણો વધવાના કારણે આરોગ્યની ગંભીર સમસ્યા સર્જાય.
  • પ્રદૂષણના કણ પ્લેસેન્ટામાં એકત્રિત થઈ જવાના લીધે સોજો આવી જાય.
  • પ્લેસેન્ટામાં સફેદ રક્તકણોનો ભરાવો થતાં બાળક સુધી પહોંચતા લોહીના પ્રવાહમાં અડચણ થાય.
  • માતાના રક્ત દ્વારા ગર્ભમા રહેલા બાળકને પોષણ મળે.
  • રક્તકણોનો ભરાવો થવાના લીધે બાળકને મળતા લોહીના પ્રમાણમાં ઘટાડો.
  • બાળકો માનસિક કે શારીરિક રીતે અપંગ થઈ શકે.
  • જન્મ્યા પછી ગંભીર માનસિક કે શારીરિક રોગ થવાનું જોખમ વધી જાય.
  • પ્લેસેન્ટા યોગ્ય રીતે લોહીનું વહન કરી ન શકે એ સ્થિતિમાં સમય પહેલાં જ ડિલીવરી થઈ જાય.
  • કેટલાક સંજોગોમાં સમય પહેલાં ડીલિવરી થવાના કિસ્સામાં બાળકનું મોત પણ થઈ શકે.
  • બાળક જન્મે તો પણ સમય પહેલાં ડીલિવરી થઈ જાય.
  • આવાં બાળકોને પૂરતું પોષણ ના મળ્યું હોવાથી જન્મથી જ તકલીફો શરૂ થઈ જાય.
  • ડૉક્ટરોના કહેવા પ્રમાણે, આ સમસ્યાના કારણે બાળકનું વજન ઘટી શકે.
  • બાળક અલગ અલગ પ્રકારના માનસિક વિકારનો ભોગ બની શકે.
  • બાળકને અસ્થમા કે ફેફસાને લગતી બીમારી થઈ શકે.

આ રીતે હવાનું પ્રદૂષણ બાળકના જન્મ પહેલાં પણ તેના સ્વાસ્થ્ય પર અસર કરીને તેને આખી જિંદગી માટે નબળું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપે એ ખતરો બહુ મોટો છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, પાંચ વર્ષથી નાનાં બાળકો પર વાયુ પ્રદૂષણની ગંભીર અસરો થવાનો ખતરો વધારે હોય છે એ સાચું પણ બીજાં બાળકો પર પણ એટલો જ ખતરો હોય છે.

નવજાત બાળકોને ખાસ સાચવો

  • નવજાત બાળકો અને મોટા બાળકો પર પ્રદૂષણની જુદી જુદી અસર થાય.
  • નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય.
  • નવજાત બાળકોનાં ફેફસાં યોગ્ય રીતે વિકસેલાં નથી હોતાં તેથી પ્રદૂષણની વધારે અસર થાય.
  • બાળકોના વિકાસ દરમિયાન પ્રદૂષણના કણ તેમના માનસિક વિકાસમાં અવરોધ સર્જે.
  • પાંચ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોનું પ્રદૂષણથી રક્ષણ કરવું જરૂરી.
  • ભારતમાં જ 2016માં પાંચ વર્ષથી 14 વર્ષની ઉંમરનાં 4,360 બાળકોના પ્રદૂષણના કારણે મોત થયા.
  • પાંચ વર્ષ પછી એટલે કે 2021માં આ આંકડો વધીને 10 હજારને પાર થઈ ગયો.

ભારત સહિતના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 98 ટકા બાળકો પર પીએમ 2.5ની અસર થઈ છે જ્યારે અમેરિકા, જાપાન, જર્મની, યુકે સહિતના ધનિક અને વધારે આવક ધરાવતા દેશોમાં આ પ્રમાણ 52 ટકા છે.હીટર તો ગરમ હવા ફેંકે છે કે જે વધારે ખતરનાક છે તેથી બાળકોને સતત AC કે હીટરની હવામાં રાખવાનું ટાળવું જોઈએ. આ કેટલાક નાના નાના ઉપાયો છે. આ ઉપાયો અમલમાં મૂકવા જરાય અઘરા નથી. એના કારણે બાળકોને વાયુ પ્રદૂષણથી થોડા પ્રમાણમાં પણ રાહત તો થાય જ છે તેથી આ ઉપાયો તાત્કાલિક અમલમાં મૂકવા જોઈએ. આપણે વાયુ પ્રદૂષણના ખતરાને બહુ ગંભીરતાથી નથી લેતા પણ વાયુ પ્રદૂષણની વૈશ્વિક કટોકટી સાઉથ એશિયામાં બાળકો પર સૌથી વધુ અસર કરી રહી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એરના અભ્યાસ અનુસાર વર્તમાન સમયમાં જે બાળક જન્મે છે તે ઝેરીલી હવા શ્વાસમાં લેવાના કારણે પોતાનું આયુષ્ય ઘટાડી રહ્યું છે.દુનિયામાં નવજાત બાળકોના આયુષ્યમાં સરેરાશ 20 મહિનાનો ઘટાડો થઈ જશે. સાઉથ એશિયામાં આ પ્રમાણ 30 મહિનાનું હશે. હવાના પ્રદૂષણનો ખતરો એટલો છે કે, દુનિયામાં મરતી 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મોત હવા પ્રદૂષણના કારણે થાય છે. મલેરિયા અને માર્ગ અકસ્માતોથી થતાં મોત દુનિયામાં સૌથી વધારે છે. વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનથી થતાં મોત ત્રીજા નંબરે છે. ભારતમાં હવાના પ્રદૂષણના કારણે થઈ રહેલાં મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે કેમ કે ભારતની હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે.

ગંભીર સ્થિતિ

  • 2017માં વિશ્વમાં ઝેરીલી હવાના લીધે 50 લાખ લોકોના મોત.
  • 25 લાખ મોત ભારત અને ચીનમાં જ થયા.
  • 2021માં આ પ્રમાણ વધીને બમણું થઈ ગયું.
  • 2021માં ચીનમાં 23 લાખ લોકોએ પ્રદૂષણને કારણે પ્રાણ ગુમાવ્યા.
  • ભારતમાં 21 લાખ લોકોએ પ્રદૂષણને કારણે પ્રાણ ગુમાવ્યા.

આ સંજોગોમાં ભારતે વાયુ પ્રદૂષણ સામે જાગવું પડે. બાકી વિજ્ઞાનીઓએ તો ચેતવણી આપી જ છે કે, બાળકોમાં હવાના પ્રદૂષણના કારણે ફેફસાં સંકોચાઈ જાય છે એવી જ હાલત વૃદ્ધોની પણ થશે. વૃદ્ધો પણ હવાના પ્રદૂષણની ખરાબ અસરોનાં શિકાર બનશે અને 50 વર્ષથી વધુ વયજૂથના લોકોમાં 10માંથી 9 લોકોનાં મોત વાયુપ્રદૂષણના કારણે હશે. આ સ્થિતિ પેદા થાય એ પહેલાં જાગવું જરૂરી છે.