પોરબંદરના છાયામાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં આવેલા ધીગેશ્વર મંદિરના પાછળના ભાગે ભીષણ આગ લાગી છે. આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે બેથી ત્રણ કિલોમીટર દૂરથી આગ દેખાઈ આવે છે. આકાશમાં આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના પ્રયત્ન ચાલુ કર્યા છે.
આગ લાગી છે તે સ્થળ નજીક સ્કૂલ આવેલી છે. ત્યારે સ્કૂલનો તમામ કિંમતી સામાન બહાર કાઢી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજ પણ બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આસપાસના કેટલાક ઘરને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને તમામ લોકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત એક કિલોમીટર દૂર બિરલા ફેક્ટરી આવેલી છે. જેથી બિરલાની તમામ ફાયર ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. ઝડપથી આગ પર કાબૂ નહીં મેળવાય તો બિરલા ફેક્ટરીમાં આગ પ્રસરે તેવી શક્યતા છે.