October 8, 2024

જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવું એ BJPની પ્રાથમિકતા: અમિત શાહ

Amit Shah on Jammu Kashmir: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું વચન આપ્યું હતું. એંસીના દાયકામાં આતંકવાદના આગમન બાદ ત્યાંના લોકોએ પહેલીવાર પારદર્શક ચૂંટણીઓ જોઈ છે. આ માટે શાહે ચૂંટણી પંચ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, સુરક્ષા દળો અને જનતાને સફળ અને ઐતિહાસિક ચૂંટણી માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરની જનતાએ આ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની ટકાવારી સાથે ભાજપને આશીર્વાદ આપ્યા છે અને ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો આપી છે. આ માટે હું જમ્મુ-કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઉપરાંત, હું જમ્મુ-કાશ્મીર ભાજપના તમામ કાર્યકર્તાઓને તેમના અથાક પરિશ્રમ માટે અભિનંદન આપું છું. શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ જમ્મુ-કાશ્મીરના વિકાસ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવું અને દેશના અન્ય ભાગોની જેમ તેનો વિકાસ કરવો એ ભાજપની ટોચની પ્રાથમિકતા છે.

ગૃહમંત્રીએ કહ્યું, ‘જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના શાસન દરમિયાન માત્ર આતંક હતો અને દરરોજ લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ ભાજપના શાસનમાં લોકશાહીના મહાન પર્વની સંપૂર્ણ ગૌરવ અને શાંતિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લોકો 1987ની વિધાનસભા ચૂંટણીને પણ સારી રીતે યાદ કરે છે, જ્યારે કોંગ્રેસે ખુલ્લેઆમ ગેરરીતિ અને ધમાલ કરીને લોકશાહીની મજાક ઉડાવી હતી. એ જ કાશ્મીર ઘાટીમાં હવે લોકશાહી ફરી જીવિત થઇ રહી છે.