સુરતમાં 118 રત્નકલાકારોના જીવ જોખમમાં મુકનાર આરોપી સુધી પોલીસ મોબાઈલ ડેટાના આધારે પહોંચી

અમિત રૂપાપરા, સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ જેમ્સમાં 118 રત્નકલાકારોના જીવ જે વ્યક્તિ દ્વારા જોખમમાં મૂક્યા હતા. તે નિકુંજ દેવમુરારીની ધરપકડ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ઝેરી દવાવાળું પાણી પીવાના કારણે 118 રત્ન કલાકારોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને 118માંથી 6 રત્ન કલાકારોને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પાણીમાં ઝેરી દવા ભેળવનાર કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર જ નીકળ્યો. દેવાના ડુંગર હેઠે દબાયા બાદ પોતે આપઘાત કરવા માટે આ ઝેરી દવા લીધી હતી, પરંતુ આપઘાત કરવાનો જીવ ન ચાલતા પાણીના કુલરમાં આ દવા ભેળવી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અનભ જેમ્સમાં કામ કરતા 118 રત્ન કલાકારોને એકાએક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રત્નકલાકારાને હોસ્પિટલમાં ખસેડવાનું કારણ એવું હતું કે કોઈ વ્યક્તિ દ્વારા રત્ન કલાકારો કારખાનાના જે કુલરમાંથી પાણી પીતા હતા તે કુલરમાં ઝેરી દવા ભેળવી દેવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોને આ બાબતે જાણ થતા રત્નકલાકારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ કાપોદ્રા પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી પાણીમાં ઝેરી દવા નાખનાર ઈસમને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કારખાનાની અંદર પાણીના કુલરમાં ઝેરી દવા નાખનાર વ્યક્તિ કારખાનામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતો નિકુંજ દેવમુરારી છે. મહત્વની વાત છે કે નિકુંજ એ જ વ્યક્તિ હતો કે જેને કારખાનામાં બૂમાબૂમ કરી હતી કે, પાણીની અંદર દુર્ગંધ આવી રહી છે અને ત્યારબાદ સુપરવાઇઝર દ્વારા પાણીની ટાંકી ચેક કરતા પાણીમાંથી સેલફોસ નામની ઝેરી દવાનું એક પેકેટ મળી આવ્યું હતું.
પોલીસને પહેલા દિવસથી જ આ નિકુંજ પર શંકા હતી. તેથી પોલીસે 24 કલાક સુધી નિકુંજ પર નજર રાખી તેની તમામ હિલચાલ પર નજર રાખ્યા બાદ નિકુંજને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ નિકુંજનો મોબાઇલ તપાસવામાં આવતા જાણવા મળ્યું હતું કે, નિકુંજ દેવાના ડુંગર તળે દબાયો હતો અને 10 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા માટે તેની પાસે પૈસા ન હતા. આ ઉપરાંત નિકુંજનો પગાર 21 હજાર હોવાના કારણે તે આર્થિક મુશ્કેલીમાં હતો.
નિકુંજ દ્વારા આપઘાતમાં પ્રયાસ કરવા માટે સરથાણાની કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી 31 માર્ચના રોજ સેલફોસ નામની ઝેરી દવાનું પેકેટ લીધું હતું. જોકે આ સેલફોસ નામની ઝેરી દવા પીવા માટે તેને અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આપઘાત કરી શક્યો નહીં અને ઘટનાના દિવસે તે સેલફોસની દવા પાણીમાં ઓગાળી પીવાનો હતો પરંતુ પેકેટ ખોલતાની સાથે દુર્ગંધ આવતા જ તેને આ દવા પીવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ રત્ન કલાકારોની આવન જાવનના કારણે નિકુંજ ડરી ગયો હતો અને સેલફોસનો પેકેટ પાણીમાં નાખી દીધું હતું અને પાણી ચારથી પાંચ લોકોએ પીધા બાદ નિકુંજને પોતાની ભૂલનું ભાન થયું. પોતે જ લોકોને જણાવ્યું કે, પાણીની અંદર દુર્ગંધ આવે છે અને ત્યારબાદ પાણીમાંથી સેલફોસનું પેકેટ મળ્યું.
પોલીસની પૂછપરછમાં નિકુંજે કબૂલાત કરી હતી કે, તેને કીર્તિ મેડિકલ સ્ટોરનો માલિક તેનો મિત્ર હોવાથી સેલફોસની દવા ત્યાંથી લીધી હતી. આ ઉપરાંત પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે નિકુંજ છે તે વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવાનો આદિ છે તેથી 21 હજાર રૂપિયાના પગારમાં તે વૈભવી લાઈફ સ્ટાઈલ જીવી શકતો ન હતો અને વધુ પૈસા કમાવવા માટે તેને ટ્રેડિંગનો ધંધો શરૂ કર્યો. ઓનલાઇન ટ્રેડિંગ દરમિયાન તેને ખૂબ લોસ થયો અને ત્યાર બાદ મિત્રને પૈસા ચૂકવવા માટે તેની પાસે પૈસા ન હતા અને મિત્રને વિદેશ જવું હોવાના કારણે તે પૈસા માટે દબાણ કરતો હતો.
તો આ સમગ્ર કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસને મળેલ સેલફોસ દવાનું પાઉચ ખૂબ અગત્યનું સાબિત થયું. પોલીસ દ્વારા સેલફોસના પાઉચ પર લખવામાં આવેલ કોડ પરથી પાઉચ કઈ તારીખે કઈ જગ્યા પર ડિલિવરી થયું હતું તે તમામ માહિતી કંપની પાસેથી એકઠી કરી હતી. ડીલર પાસેથી માહિતી મળ્યા બાદ સબ ડીલર અને સબ ડીલર પાસેથી જે તે સ્ટોર પર આ પેકેટ વેચાતું હોય તે સ્ટોરની માહિતી પોલીસે મેળવી. ત્યારબાદ મેડિકલ પર જઈ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે ચકાસ્યા અને સીસીટીવી ફૂટેજમાં પણ નિકુંજ મેડિકલ પર સેલફોસ લેવા માટે ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું. આ ઉપરાંત દવા લીધા બાદ તેને google પેથી પેમેન્ટ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને નિકુંજના મોબાઇલમાંથી મળ્યા છે. હાલ પોલીસે નિકુંજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.