July 2, 2024

UAE પહોંચતા જ PM મોદીએ કહ્યું,‘એવું લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું’

PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. UAEની આ મુલાકાત દરમિયાન PM મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વિવિધ વિષયો પર વાતચીત કરશે અને અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની આ મુલાકાત 2015 પછી વડાપ્રધાનની યુએઈની સાતમી મુલાકાત હશે. UAEની બે દિવસીય મુલાકાતે જતા પહેલા PM મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદને ‘ભાઈ’ કહીને સંબોધ્યા અને કહ્યું કે તેઓ તેમની સાથે મળવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ કહ્યું કે હું આ ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. જ્યારે પણ હું તમને મળવા અહીં આવું છું ત્યારે મને હંમેશા એવું લાગે છે કે હું મારા પરિવારને મળવા આવ્યો છું. માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને એક મોટા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

ભારત અને યુએઈ વચ્ચે મજબૂત સંબંધો છે: પીએમ મોદી
અબુ ધાબી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે UAE આવવું મારા ઘર જેવું લાગે છે. તેમણે કહ્યું, “ભારત અને UAE વચ્ચે મજબૂત સંબંધો છે. ‘આ મુલાકાત બંને દેશો વચ્ચે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે.’ અબુ ધાબી પહોંચતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન હું અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરીશ. હું અબુ ધાબીમાં એક વિશેષ કાર્યક્રમમાં UAEના તમામ અમીરાતના ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરીશ.

‘મફત વીજળી યોજના’ની જાહેરાત કરી
UAEના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નાગરિકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે ‘PM સૂર્ય ઘર’: મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. ‘X’ પર કહ્યું, ‘સતત વિકાસ અને લોકોની ભલાઇ માટે અમે ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ શરૂ કરી રહ્યા છીએ.’ વધુમાં કહ્યું કે રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક છે.

પીએમ મોદીના અબુધાબી આગમન પર તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું
પીએમ નરેન્દ્ર અબુધાબી પહોંચી ગયા છે. જ્યાં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગળે લગાવ્યા. પીએમ મોદીના આગમન પર તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું. માહિતી અનુસાર ભારતીય સમુદાયને સંબોધિત કરવા અને હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત વડાપ્રધાન મોદી UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કરશે. 2015 પછી મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે. PM મોદી UAE પહોંચતા જ તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં UAE સાથે અમારો સહયોગ વેપારથી લઈને રોકાણ અને સુરક્ષા સુધીના ઘણા ક્ષેત્રોમાં સહયોગ રહ્યો છે. બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે.