PM મોદી આજથી બે દિવસ મોરેશિયસના પ્રવાસે, મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપશે

Mauritius: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. મોરેશિયસની બે દિવસીય મુલાકાત માટે રવાના થતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં “નવો અને તેજસ્વી” અધ્યાય ઉમેરશે. પીએમ મોદી મોડી રાતે મોરેશિયસ જવા રવાના થયા. તેઓ મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર આ મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. 12 માર્ચે મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ છે.

મોરેશિયસ જતા પહેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું, “હું અમારા SAGAR વિઝનના ભાગ રૂપે અમારા લોકોની પ્રગતિ, સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે અમારી સ્થાયી મિત્રતાને મજબૂત કરવા તથા તેના તમામ પાસાઓમાં અમારી ભાગીદારીને વધારવા માટે મોરેશિયસ નેતૃત્વ સાથે જોડાવાની તકની રાહ જોઉં છું.”

‘SAGAR’ નો અર્થ ‘પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ’ થાય છે. ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી, ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા ‘સ્કાયડાઇવિંગ ટીમ’ (મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ) ઉજવણીમાં ભાગ લેશે.

આ પણ વાંચો: PM મોદીની મોરેશિયસ મુલાકાત: 27 વર્ષ જૂની આ યાદો કેમ યાદ કરવામાં આવી રહી છે?

પીએમ મોદીએ કહ્યું, “મોરિશિયસ એક નજીકનો દરિયાઈ પાડોશી, એક મુખ્ય ભાગીદાર અને હિંદ મહાસાગરમાં આફ્રિકન ખંડનો પ્રવેશદ્વાર છે. “આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છીએ.” તેમણે કહ્યું, “ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારી માન્યતા અને આપણી વિવિધતામાં ગર્વ એ આપણી શક્તિ છે.”

વડાપ્રધાનએ કહ્યું કે બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધો સહિયારા ગર્વનો સ્ત્રોત છે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે આ મુલાકાત ભૂતકાળના પાયા પર નિર્માણ કરશે અને ભારત-મોરેશિયસ સંબંધોમાં એક નવો અને તેજસ્વી પ્રકરણ ઉમેરશે.” આ સિવાય લોકોલક્ષી પહેલ દ્વારા બંને પક્ષોએ છેલ્લા 10 વર્ષમાં સંબંધોમાં મોટી છલાંગ લગાવી છે. ભારત મોરેશિયસના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક છે. 2023-24 માટે સિંગાપોર પછી મોરેશિયસ ભારતમાં વિદેશી રોકાણનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતો.