September 8, 2024

NITI Aayogની બેઠકમાં બોલ્યા પીએમ મોદી: દેશને વિકસિત બનાવવા માટે રાજ્યોની ભૂમિકા મહત્વની

NITI Aayog Meeting: આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઇ રહી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજવામાં આવી છે. બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની વાતો કહી હતી જેમાં તેમણે રાજ્યોની ભૂમિકા પર બહાર મૂક્યો.

ભારતે આ તકનો ફાયદો લેવો જોઈએ
નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દશક ટેકનોલોજી અને ભૂ-રાજકીય ફેરફારનું છે. ભારતે આ તકનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને એવી નીતિઓ બનાવવી જોઈએ, જેનાથી વધુમાં વધુ વિદેશી રોકાણ ભારતમાં લાવી શકાય.

વિકસિત ભારત માટે રાજ્યોની ભૂમિકા મહત્વપૂર્ણ: પીએમ મોદી
દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું દરેક ભારતીયનું સપનું છે. વિકસિત ભારતના આ લક્ષ્યાંક ને હાંસલ કરવામાં દેશના રાજ્યો મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે રાજ્યો લોકો સાથે સીધા જોડાયેલા છે.

ભારતને તેની આઝાદીના 100મા વર્ષમાં 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ કરવા માટે એક ‘વિઝન પેપર’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નીતિ આયોગને 2023માં 10 ક્ષેત્રીય વિષય પર દ્રષ્ટિકોણને એકીકૃત કરીને ‘વિકસિત ભારત At 2047’ માટે એક સંયુક્ત વિઝન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ વિઝન પેપર વિકાસના વિવિધ પાસાઓને આવરી લે છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણને અનુકૂળ પગલાં અને શાસન વ્યવસ્થાનો સમાવેશ થાય છે.