બેંગકોકમાં મળ્યા PM મોદી અને યુનુસ, ભારત વાતાવરણ બગાડે તેવા નિવેદનો ટાળવાની સલાહ આપી

PM Modi and Yunus meet in Bangkok: BIMSTEC સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી. બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. પીએમ મોદી અને યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બેંગકોકમાં થઈ હતી. મુહમ્મદ યુનુસ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અંગે, વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ વાતચીતની વિગતો આપી છે.

શું હતું ભારતનું વલણ?
પીએમ મોદીની થાઈલેન્ડમાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથેની મુલાકાત અંગે વિદેશ સચિવએ કહ્યું કે, “પીએમ મોદીએ લોકશાહી, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.” તેમણે યુનુસને કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધો બનાવવા માંગે છે. પ્રધાનમંત્રીએ એવો પણ આગ્રહ કર્યો હતો કે વાતાવરણને બગાડી શકે તેવા કોઈપણ નિવેદનોથી દૂર રહેવું જોઈએ. સરહદ સલામતી અને સુરક્ષા જાળવવા માટે સરહદ પર કાયદાનો કડક અમલ અને ગેરકાયદેસર સરહદ ક્રોસિંગને અટકાવવા જરૂરી છે. પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓની સલામતી અને સુરક્ષા અંગે ભારતની ચિંતાઓ પર પણ ભાર મૂક્યો.

ભારતનું વલણ સંયમિત
જોકે, બાંગ્લાદેશ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હોવા છતાં ભારતે અત્યાર સુધી સંયમિત વલણ દાખવ્યું છે. પીએમ મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ પર યુનુસને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે બાંગ્લાદેશ સંગ્રામનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, “અમે એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતાના આધારે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની અમારી સહિયારી આકાંક્ષાઓથી પ્રેરિત થઈને આ ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”