‘સમય, જગ્યા અને ટાર્ગેટ સેના નક્કી કરશે, અમે સેનાને પૂરી છૂટ આપી’: PM

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓનો સમાવેશ થાય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બદલો લેવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.
પહલગામ આતંકવાદી હુમલા પછી આજે વડાપ્રધાન મોદીએ ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સશસ્ત્ર દળોની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.
PM મોદીએ વચન આપ્યું છે કે, પહલગામ હુમલા પાછળના આતંકવાદીઓ અને તેમના સાથીઓને વિશ્વના ગમે તે ખૂણામાંથી શોધી કાઢવામાં આવશે અને તેમની કલ્પનાની બહાર કડક સજા આપવામાં આવશે.