પાલીતાણાના શેત્રુંજય તીર્થ પર છ ગાઉની યાત્રા પૂર્ણ, હજારો યાત્રિકો જોડાયાં

palitana shetrunjay tirth 6 gau yatra

શેત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભૌમિક સિદ્ધપુરા, પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉની યાત્રામાં જોડાયા છે. ભક્તિભાવ અને હર્ષોલ્લાસના દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને ‘જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાંચલ, જય પાલીતાણા’ના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લ્હાવો છે.

જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે, તેવા શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો વહેલી સવારે પાલીતાણા જય તળેટીથી ‘જય જય આદીનાથ’ના જયઘોષ સાથે પ્રારંભ થયો છે. આજના દિવસે શેત્રુંજય ગિરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પ્રદ્યુમ્ન અને સાંબ કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહીં મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે, એવી માન્યતા હોવાથી હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે. આ છ ગાઉની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી 80-90 હજાર જેટલા શ્રાવક-શ્રાવિકાઓ સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો જોડાયા છે. તેમજ સિદ્ધવડ ખાતે પાલમાં 70 હજાર કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા છે અને આ છ ગાઉની યાત્રા પૂરી કરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ઠેર-ઠેર યોજાશે વૈદિક હોળી, જાણો તેના ફાયદા

છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઈ ગિરિરાજ ઉપર આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા 9 કે 11 લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાંથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં સાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે. આ બંને શ્રીકૃષ્ણના પુત્રો હતા. તેમણે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. આ માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.

આ પણ વાંચોઃ બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં 300થી વધુ શિક્ષકો ગેરહાજર, DEOએ નોટિસ ફટકારી

પાલમાં દરેક યાત્રિકોની દૂધ-પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ-કુમકુમનું તિલક કરી સંઘપૂજન કરવામાં આવે છે. જ્યાં 96 પાલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ફ્રૂટથી શરુ કરીને અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ અહીં તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદિપુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 108, ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલા કે ગુમ થયેલા વ્યક્તિ માટે સતત એનાઉન્સમેન્ટ માટેની વ્યસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિકઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે.