September 17, 2024

પાલીતાણા બન્યું દુનિયાનું પ્રથમ શાકાહારી શહેર, નોન-વેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ

Worlds First Vegetarian City: ગુજરાતના પાલિતાણા શહેરમાં હવે નોન-વેજ ફૂડને ગેરકાયદે (Non Veg Ban) જાહેર કરવામાં આવ્યું છે. આવું કરનાર પાલીતાણા વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે. જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાના કારણે હવે અહીં માંસનું વેચાણ, ખાવું અને પશુઓની કતલ કરવી એ સજાને પાત્ર ગુનો બનશે. 200થી વધુ જૈન સાધુઓ 250 થી વધુ કતલખાનાઓ બંધ કરવાની માંગ કરી રહ્યા હતા. ગુજરાતના રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમદાવાદ શહેરોમાં નોન વેજના વેચાણ અંગે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં માંસાહારીનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ખુલ્લામાં માંસ જોવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને તેના પર નકારાત્મક અસર પડી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ નિયમો ટ્રાફિકની ભીડ ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

200 થી વધુ જૈન સાધુઓએ વિરોધ કર્યો હતો
શહેરમાં 250થી વધુ કતલખાનાઓ બંધ કરવાની માંગણી કરતા 200થી વધુ જૈન સાધુઓના વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ જૂનાગઢ અને અમદાવાદમાં પણ સમાન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. માંસાહારી ખોરાકનો વિરોધ કરનારાઓએ દલીલ કરી હતી કે માંસનું પ્રદર્શન તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને લોકો, ખાસ કરીને બાળકો પર નકારાત્મક અસર કરે છે.

રાજ્ય સરકારે જૈન સમુદાયની લાગણીને માન આપીને આ પ્રતિબંધ લાગુ કર્યો છે. હવે પાલીતાણામાં માત્ર માંસ અને ઈંડાનું વેચાણ જ બંધ નથી પરંતુ પશુઓની કતલ પર પણ પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર માટે સજાની જોગવાઈ છે. પાલીતાણા નગર મુખ્યત્વે જૈન તીર્થધામ તરીકે જાણીતું છે અને આ નિર્ણય તેની પવિત્રતા જાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, શહેરમાં હવે ઘણી શાકાહારી રેસ્ટોરન્ટ્સ ખુલી છે, જે સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારના શાકાહારી ખોરાક પીરસે છે.

જૈનોના પવિત્ર યાત્રાધામોમાંનું એક
પાલીતાણાએ જૈનો માટે સૌથી પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શત્રુંજય પહાડીમાં આવેલા પાલીતાણાને જૈન મંદિરના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પાલીતાણા શહેરમાં કુલ 800 જૈન મંદિરો છે. જેમાં સૌથી પ્રસિદ્ધ જૈન મંદિર આદિનાથ મંદિર છે, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે.