પાલનપુરના રેલવે કર્મીઓની રસ્તો બનાવવાની 4 વર્ષથી માગણી, ભૂખ હડતાલની શરૂઆત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રસ્તા, પાણી કે ભૌતિક જરૂરિયાતની માગને લઈ સામાન્ય લોકોને તો તમે આંદોલનના માર્ગે વળતા જોયા હશે, પરંતુ પાલનપુરમાં રેલવે કવાર્ટર્સના રસ્તાની માગને લઈને છેલ્લા 4 વર્ષથી વિરોધ કરી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે વળ્યાં છે. પાલનપુર રેલવે સ્ટેશન નજીક ભૂખ હડતાલની શરૂઆત કરી છે. તો સાથે જ જો આગામી દિવસોમાં માગ નહીં સ્વીકારય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રામલીલા મેદાન નજીક રેલ્વેના 50 કવાર્ટર્સ આવેલા છે. જેમાં રેલવે માં ફરજ બજાવતા કર્મીઓ આ કવાર્ટર્સમાં રહેતા હોય છે. જો કે, વર્ષોથી આ કવાર્ટર્સને રેલવે સ્ટેશનથી જોડતો પાકો માર્ગ આવેલો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર-અમદવાદ વચ્ચે dfccના કામને લઇ રેલવે સ્ટેશનથી રેલવે કવાર્ટરને જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે. જો કે, છેલ્લા 4 વર્ષથી રેલવે કવાર્ટર્સમાં રહેતા લોકો આ માર્ગ ફરી શરૂ કરવા માગ કરી રહ્યા હતા.
સ્થાનિકો દ્વારા અનેકવાર રેલવે વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે રેલવે કવાર્ટરમાં રહેતા લોકોએ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના નેજા હેઠળ આંદોલનની રણનીતિ બનાવી અને આજથી પાલનપુર રેલવે સ્ટેશન નજીક રસ્તાની માગને લઈને યુનિયન દ્વારા ભૂખ હડતાલની શરૂઆત કરાઈ છે.
આજથી રેલવે કવાર્ટરના સ્થાનિકો સહિત યુનિયન લોકો ભૂખ હડતાલમાં પહોંચ્યા અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રઆંદોલનની સાથે સાથે પાલનપુરના પડઘા અમદાવાદ સહિત વેસ્ટર્ન રેલવે મંડળમાં પડવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવું રહેશે કે, રેલવે વિભાગ સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી રેલવે કર્મીઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બને છે.