ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ઊંઘ હરામ; પોતાને બચાવવા માટે ચીન-રશિયાના પગે પડ્યો

Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ રહી છે. આતંકવાદ સામે લડવામાં ભારતને ઘણા દેશોના નેતાઓએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. આ હુમલા પછી ભારતના કડક વલણ અને જવાબી કાર્યવાહીથી પાડોશી દેશની ઊંઘ ઉડી ગઈ છે. આતંકવાદના મુદ્દામાં ફસાયેલા પાકિસ્તાને આ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી છે. એટલું જ નહીં પાકિસ્તાને તપાસ માટે તેના જૂના મિત્ર ચીનનું નામ લીધું છે.
રશિયન રાજ્ય સમાચાર એજન્સી RIA નોવોસ્ટીને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસમાં ચીન અને રશિયાને સમાવવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે જેને ભારત ખોટું બોલી રહ્યું છે કે સાચું બોલી રહ્યું છે તેની તપાસ કરવાનું કામ સોંપવામાં આવે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ આંતરરાષ્ટ્રીય ટીમને કરવા દો.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આંતરરાષ્ટ્રીય તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાં પાકિસ્તાન સંડોવાયેલું હોવાના કેટલાક પુરાવા હોવા જોઈએ અથવા આ લોકોને પાકિસ્તાનનો ટેકો હતો. આ ફક્ત પોકળ નિવેદનો છે અને બીજું કંઈ નથી.