પહલગામ હુમલાથી આ મુસ્લિમ દેશ પણ લાલઘૂમ, આતંકવાદીઓને આપ્યો મેસેજ

Jammu kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુસ્સો છે. આ હુમલાની અમેરિકા,ઈઝરાયલ અને સિંગાપોર તેમજ મુસ્લિમ દેશ UAE દ્વારા નિંદા કરવામાં આવી છે. યુએઈએ એક નિવેદન જારી કરીને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, “UAE આ ગુનાહિત કૃત્યોની સખત નિંદા કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડવાના હેતુથી થતી તમામ પ્રકારની હિંસા અને આતંકવાદને કાયમી ધોરણે નકારી કાઢે છે. મંત્રાલયે ભારત સરકાર, લોકો અને આ જઘન્ય હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમજ તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.”

આ હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદી પોતાનો સાઉદી પ્રવાસ રદ કરીને ભારત પરત ફર્યા છે. ગૃહમંત્રી અમિત શાહ આજે પહલગામની મુલાકાત લેશે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતમાં હાજર છે અને ભારતના વડા પ્રધાન દેશની બહાર છે. આ હુમલાને ભારતને બદનામ કરવાના મોટા કાવતરા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પહેલા નામ પૂછ્યાં, પછી ગોળીઓ ચલાવી… પહલગામમાં અત્યાર સુધીમાં શું-શું બન્યું? 10 મોટા અપડેટ્સ

પહલગામ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા?
પહલગામમાં લગભગ 5 થી 6 હુમલાખોરોએ પ્રવાસીઓ પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. આ હુમલામાં લગભગ 26 લોકો માર્યા ગયા હોવાની શક્યતા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ હુમલાથી સમગ્ર દેશમાં ભયનો માહોલ સર્જાયો છે. ભારતના અન્ય ભાગોની સાથે કાશ્મીરના લોકો પણ આ હુમલાનો સખત વિરોધ કરી રહ્યા છે.