Pahalgam Attack: સંરક્ષણમંત્રીની NSA ડોભાલ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક

Pahalgam Terror Attack Updates: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 28 લોકો મોત અને 20 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે. આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ચાર્જ સંભાળી લીધો છે અને મંગળવારથી સર્ચ ઓપરેશન ચાલુ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ આજે કાશ્મીરની તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

સંરક્ષણમંત્રીની NSA ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે મુલાકાત
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે બેઠક યોજી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહલગામ આતંકી હુમલાને લઈને ઈમરજન્સી કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, ગૃહ વિભાગ, પ્રવાસન વિભાગ અને સુરક્ષા એજન્સીઓના વડાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ આ હુમલાની કડક નિંદા કરી અને તેને જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને પર્યટન પર સીધો હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ હુમલો આપણા શાંતિપૂર્ણ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનું કાવતરું છે. આતંકવાદના આ કાયરતાપૂર્ણ કૃત્યનો યોગ્ય જવાબ આપવામાં આવશે.