આતંક વિરુદ્ધ તાબડતોડ એક્શન… વધુ ત્રણ આતંકવાદીઓના ઘર તોડી પડાયા

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી ચાલુ રાખતા, અધિકારીઓએ બાંદીપોરા, પુલવામા અને શોપિયાન જિલ્લામાં ત્રણ કથિત સક્રિય આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા. આ સાથે 22 એપ્રિલે પહલગામમાં બૈસરન ખીણમાં થયેલા હુમલા બાદ અત્યાર સુધીમાં શંકાસ્પદ આતંકવાદીઓના નવ ઘરો તોડી પાડવામાં આવ્યા છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરોધી કાર્યવાહીને વેગ મળ્યો છે, જેના હેઠળ સુરક્ષા દળોએ માત્ર પાંચ દિવસમાં ખીણમાં 500 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સેંકડો શંકાસ્પદોની પૂછપરછ કરી છે.

આતંકવાદીઓ સામે કાર્યવાહી
રાજકીય પક્ષોએ કેન્દ્રને વિનંતી કરી છે કે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરતી વખતે નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં ન આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે શોપિયાન જિલ્લાના વાંદીનામાં આતંકવાદી અદનાન શફીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે આતંકવાદીઓના જૂથમાં જોડાયો હતો.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સની લખનઉ સુપર જાયન્ટ્સ સામે 54 રનથી જીત, IPLમાં 150 મેચ જીતનારી પહેલી ટીમ બની

જમીલ અહેમદનું ઘર તોડી પાડવામાં આવ્યું
તેમણે કહ્યું કે પુલવામા જિલ્લામાં બીજા શંકાસ્પદ સક્રિય આતંકવાદી આમિર નઝીરનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું. બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના શંકાસ્પદ આતંકવાદી જમીલ અહેમદ શેરગોજરીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. શેરગોજરી 2016 થી સક્રિય આતંકવાદી છે.

આ સાથે પહલગામ હુમલા પછી અત્યાર સુધીમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓના નવ ઘર તોડી પાડવામાં આવ્યા છે. મંગળવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.