ધાર્મિક બાબતોમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરીશું નહીં, વક્ફ બિલ પર મૌલાના મદની લાલઘૂમ

waqf law: સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી 73 અરજીઓ પર સુનાવણી થઈ હતી. જેમા અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી અને તેને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું. હવે, આ મુદ્દે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે મુસ્લિમો તેમના ધાર્મિક બાબતોમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરીશું નહીં.

મદનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, ‘જમીઆત ઉલેમા-એ-હિંદ વતી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 પર ચર્ચા શરૂ કરી હતી.’ હાલનો વકફ કાયદો બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે અને ધાર્મિક બાબતોમાં દખલ કરે છે. આ દેશની એકતા અને અખંડિતતા માટે અત્યંત ખતરનાક છે.

વધુમાં, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખે કહ્યું કે મુસ્લિમો તેમના ધાર્મિક બાબતોમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરી શકતા નથી. મદનીએ કહ્યું કે આ બિલનો ફાયદો ઉઠાવીને સાંપ્રદાયિક શક્તિઓ દેશની શાંતિ અને એકતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે આ કાયદો એવા સમયે લાવવામાં આવ્યો છે જ્યારે દેશભરમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત વધી રહી છે.

આ પણ વાંચો: સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 5થી વધુ લોકોના મોત

અગાઉ, મદનીએ કહ્યું હતું કે જમિયતે માત્ર વક્ફ સુધારા કાયદાની વિવિધ જોગવાઈઓને પડકારી નથી, પરંતુ કાયદાના અમલીકરણને રોકવા માટે વચગાળાના નિર્દેશો જારી કરવાની વિનંતી પણ કરી છે. અરજીમાં જણાવાયું છે કે આ કાયદો ગેરબંધારણીય છે અને વકફ વહીવટ અને વકફ વ્યવસ્થા બંને માટે વિનાશક છે. જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો ડાયરી નંબર 18261/2025 છે. આશા છે કે અમને કોર્ટ તરફથી ન્યાય મળશે.