CMએ નર્મદા કિનારે પૂજા-અર્ચના કરી, પરિક્રમાવાસીઓને કહ્યું – આવતા વર્ષે વધુ સુવિધા મળશે

પ્રવિણ પટવારી, નર્મદાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં સવારે પહોંચ્યા હતા. તેમણે મા નર્મદા મૈયાનું વિધિવત્ પૂજન કર્યું હતું. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા, જિલ્લા ભાજપાના પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શના દેશમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8.30 કલાકે રાજપીપળા હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાંથી સીધા રામપુરા નર્મદા ઘાટે પૂજા કરી હતી. ત્યારબાદ રણછોડજી મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાવાસીઓને મળ્યા હતા. તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને કહ્યુ હતુ કે, ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરીશું અને આવતા વર્ષે વધુ ઉત્તમ સુવિધા પરિક્રમાવાસીઓને મળશે એવો ગુજરાત સરકારનો પ્રયાસ રહેશે. તેમણે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ મા નર્મદાની પૂજા-અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરવામાં આવી છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પૂણેથી આવેલા પરિક્રમાવાસી દેવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર, ત્રણેયના સુશાસન હોવાથી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહી છે. ચાલુ વર્ષે નર્મદા પરિક્રમાની ઉત્તમ સુવિધા ગુજરાત સરકારે કરી છે તે માટે હું એમનો આભાર માનું છું.