મ્યાનમાર છુપાવી રહ્યું છે ભૂકંપથી તબાહી! ISROએ શેર કરી દીધી સેટેલાઈટ તસવીર

Myanmar: મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે. આ ભૂકંપના આંચકા પડોશી દેશોમાં પણ અનુભવાયા હતા. જોકે, મ્યાનમારની લશ્કરી સરકારે વિનાશ સંબંધિત માહિતી પર રોક લગાવી દીધી છે. ત્યાંની સરકારે વિદેશી મીડિયાને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જવાથી રોકી દીધું છે. સેનાનું કહેવું છે કે આ વિસ્તારોમાં વીજળી, પાણી અને રહેઠાણની સમસ્યાને કારણે પત્રકારોને ત્યાં આવવાની મંજૂરી આપી શકાતી નથી.
હવે ભલે મ્યાનમાર સરકાર દુનિયાથી વિનાશના વાસ્તવિક ચિત્રો છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય, ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ આ ભૂકંપથી થયેલા નુકસાનની સેટેલાઇટ છબીઓ જાહેર કરી છે. ઈસરોના અદ્યતન પૃથ્વી ઇમેજિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 એ 500 કિલોમીટરની ઊંચાઈથી ભૂકંપગ્રસ્ત વિસ્તારોની ઉચ્ચ-રીઝોલ્યુશન તસવીરો લીધી છે. આ તસવીરો દર્શાવે છે કે મ્યાનમારના ઘણા મોટા શહેરોને ભારે નુકસાન થયું છે.
મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર નાશ પામ્યું
મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર મંડલે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનું એક છે. ISRO ની તસવીરો દર્શાવે છે કે મંડલે અને સાગાઈંગ પ્રદેશોમાં ઘણી ઐતિહાસિક ઇમારતો ધરાશાયી થઈ છે. માંડલે યુનિવર્સિટીને પણ નુકસાન થયું છે, જ્યારે ઇરાવદી નદી પરનો એક મોટો પુલ પણ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, વીડિયો સામે આવ્યો
આ ઉપરાંત પ્રખ્યાત મહામુનિ પેગોડા અને ઐતિહાસિક અવા પુલને પણ નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ તસવીરો દ્વારા એ પણ સ્પષ્ટ થયું કે ભૂકંપથી ઇમારતો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 2900 થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ઘણા અહેવાલોમાં મૃત્યુઆંક આનાથી પણ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછી બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. પરંતુ વિનાશ એટલા મોટા પાયે છે કે રાહત કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.