July 4, 2024

રાજપૂત દીકરીનું મામેરૂ ભરી મુસ્લિમ પરિવારે કોમી એકતા દર્શાવી

નર્મદા: જિલ્લાના બૂંજેઠા ગામના રાજપૂત વાઘેલા પરિવારની પુત્રની લગ્ન યોજાયા હતા. આ રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે મામેરૂ કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેને જોઈ ગામના તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બોર્ડર પર બૂંજેઠા ગામ આવેલું છે. આ ગામમાં મોટે ભાગે રાજપૂત સમાજના લોકો રહે છે. આ ગામમાં અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી નામક મુસ્લિમ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી બૂંજેઠા ગામમાં રહે છે. તેમના જ નજીકમાં રહેતા એક વાઘેલા જ્યેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેમના ઘર જેવા સંબંધ છે. આથી તેમની દીકરી અંજલિ વાઘેલાને મન્સૂરી પરિવારે પણ પોતાની દીકરી માની હતી. તેને નાનીથી મોટી કરી પોતાની દિકરી તરીકે જ માનતા હતા.

હવે આ દીકરી મોટી થઈ અને તેના લગ્ન ગોઠવાયા છે. હિંદુ રિવાજથી લગ્ન થતા હોવાથી ગામના મુસ્લિમ મન્સૂરી પરિવારે તે છોકરીને દીકરી માની હતી. તેથી તેના લગ્ન હોય મુસ્લિમ પરિવાર તરફથી આ દીકરીને મોસારૂ (મામેરું) આપવામાં આવ્યું. આ મુસ્લિમ પરિવારે મામેરામાં ફ્રીજ, ટીવી, કપડા તેમજ રોકડ રૂપિયા અને ઘર વખરીની સામગ્રી આવી હતી. પોતાની દિકરીની વિદાય થઈ રહી હોય તે રીતે મામોરુ આપવા સમયે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ હાલ દેશમાં કોમવાદને મોટા મોટા રમખાણોની ઘટના બની રહી છે. એ સમયે નર્મદાના આ મુસ્લિમ પરિવારે રાજપૂત દીકરીને મોસારૂ આપતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભવુક થઈ ઉઠ્યા હતા.