ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું-ઓપરેશન સિંદૂર પછી વેપાર પર કોઈ ચર્ચા થઈ ન હતી

MEA Press Briefing: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામને લઈને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી અંગે કહ્યું હતું કે અમે કાશ્મીર પર મધ્યસ્થી સ્વીકારતા નથી. પાકિસ્તાને POK ખાલી કરવું પડશે. ટ્રમ્પના દાવાને નકારી કાઢતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરની શરૂઆતથી લઈને 10 મેના રોજ ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવાના કરાર સુધી, સૈન્ય પરિસ્થિતિ પર ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આમાંથી કોઈ પણ ચર્ચામાં વેપારનો મુદ્દો આવ્યો ન હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમારું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને લગતા કોઈપણ મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે લાવવાનો રહેશે. આ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો મુદ્દો પેન્ડિંગ છે.

તેમણે કહ્યું કે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પહેલાથી જ જાણ કર્યા મુજબ, 10 મેના રોજ 3:35 વાગ્યે, બંને દેશોના DGMO એ યુદ્ધવિરામ પર ટેલિફોનિક ચર્ચા કરી હતી. પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા બપોરે 12.37 વાગ્યે વિદેશ મંત્રાલયને આ વાતચીતની જાણ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં આંતરિક ટેકનિકલ સમસ્યાઓના કારણે હોટલાઇન કનેક્ટ કરવામાં વિલંબ થયો હતો. ભારતના ડીજીએમઓની હાજરીમાં બપોરે 3.35 વાગ્યે વાતચીત થઈ હતી.