September 17, 2024

મનસુખ માંડવિયાઃ ભારતના એ આરોગ્ય મંત્રી જેમણે 10 કરોડ મહિલાઓ સુધી પહોંચાડ્યા સેનિટરી નેપકિન

Mansukh Mandaviya: મનસુખ માંડવિયા ભાજપમાં એવા નેતા છે જે પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. કોરોનાકાળની કટોકટી દરમિયાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ડૉ. હર્ષવર્ધનના રાજીનામા પછી તેમને આરોગ્ય પ્રધાન બનાવ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા. પરંતુ માંડવિયાએ તેમના કામથી ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. કોવિડ કટોકટી દરમિયાન તેમણે રેકોર્ડ રસીકરણ અને જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને પોતાને આરોગ્ય પ્રધાન તરીકે સાબિત કર્યા હતા. મોદીના ત્રીજા કાર્યકાળમાં તેમને શ્રમ અને રોજગારની સાથે યુવા અને રમત મંત્રાલયની કમાન પણ મળી છે.

‘ગ્રીન એમપી’ તરીકે પ્રખ્યાત માંડવિયા
1 જૂન 1972ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હનોલ નામના નાના ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા માંડવિયા સંઘર્ષ દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે. સાયકલ દ્વારા સંસદમાં જવાના શોખને કારણે ‘ગ્રીન એમપી’ તરીકે ઓળખાતા માંડવિયાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજકીય સફર શરૂ કરી હતી. પોલિટિકલ સાયન્સમાં એમએ અને પીએચડી કરનાર માંડવિયા 2002માં 28 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેમને પહેલી વખત 5 જુલાઈ 2016ના રોજ મોદી સરકારમાં ટ્રાન્સપોર્ટ, શિપિંગ અને કેમિકલ્સ-ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે એન્ટ્રી મળી હતી. 2019માં બીજા કાર્યકાળમાં તેમને પ્રથમ રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન સાથે બંદરો અને જળમાર્ગોનો સ્વતંત્ર હવાલો મળ્યો હતો. બે વર્ષ પછી 2021માં તેમને બઢતી આપવામાં આવી અને આરોગ્ય મંત્રાલયના કેબિનેટ મંત્રીની જવાબદારી મળી હતી. રસાયણ અને ખાતર મંત્રાલય પણ તેમની પાસે જ રહ્યું હતું.

આ પણ વાંચો: નિઃસ્વાર્થ ભાવનાનું ઉદાહરણ એટલે દ્રવિડ, પોતાના સાથીઓ માટે 2.5 કરોડનું બલિદાન આપ્યું

પદયાત્રાઓ માટે જાણીતા છે માંડવિયા
માંડવિયા સામાજિક મુદ્દાઓ માટે લોંગ માર્ચ માટે જાણીતા છે. 2004માં તેમણે કન્યા કેળવણીના પ્રચાર અને જાગૃતિ માટે 123 કિલોમીટર અને 2006માં તેમણે લિંગ ભેદભાવ અને માદક દ્રવ્યોના વ્યસન સામે 127 કિલોમીટરની પદયાત્રા કરી હતી. માંડવિયાએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી.

કોવિડ રસીકરણનો રેકોર્ડ પણ એક સારી પહેલ
કોવિડ રોગચાળા પછી આરોગ્ય પ્રધાન તરીકે માંડવિયાના કાર્યકાળ દરમિયાન વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જન ઔષધિ કેન્દ્રો દ્વારા 10 કરોડ સેનિટરી નેપકિનનું વિતરણ કરીને મહિલા સ્વાસ્થ્ય સુરક્ષા માટે યુનિસેફ તરફથી સન્માન પ્રાપ્ત કર્યું અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ શરૂ કર્યું હતું.

10 હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા
જ્યારે કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી હતા ત્યારે મનસુખ માંડવિયાએ સસ્તી દવાઓ પૂરી પાડવા સંબંધિત મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ દેશમાં 10,600 થી વધુ જન ઔષધિ સ્ટોર્સ ખોલવામાં આવ્યા હતા જ્યાં દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ થઈ હતી.

હવેના પડકારો
બાકી શ્રમ સુધારાઓ અમલમાં મૂકવા, રોજગારની ઉપલબ્ધતા વધારવી.
44 જૂના કાયદાની જગ્યાએ 4 લેબર કોડનો અમલ.
સેવા સુરક્ષા અને કામદારોની લઘુત્તમ આવકની ખાતરી કરવી.
રમતની પ્રતિભાને શોધવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો.