July 7, 2024

Rajkot અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, મનપા કમિશ્નર-પોલીસ કમિશ્નરની બદલી

રાજકોટ: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. હવે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સરકારે નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી, PI વીઆર ચૌધરી, PI એનઆઇ રાઠોડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી અને અન્ય એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

ક્યા ક્યા અધિકારીઓની બદલી?

  • રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ
  • આનંદ પટેલ, કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા
  • વિધિ ચૌધરી, ACP, રાજકોટ પોલીસ
  • મહેન્દ્ર બગરીયા, રાજકોટના નવા ACP
  • સુધીરકુમાર દેસાઈ, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ
  • જગદીશ બંગરવા, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ

નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. આરોપી માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન અને ભાગીદાર રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.