October 16, 2024

જાસલપુરમાં ભેખડ ધસવાથી 9નાં મોત, કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

મહેસાણાઃ જાસલપુર ગામની ફેક્ટરીમાં 9 લોકોના મોત મામલે કડી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ક્રોન્ક્ટાકટર જયેશ દોશી સામે ફરિયાદ નોંધાઈ છે. એન્જિનિયર કૌશિક પરમાર અને લેબર ક્રોન્ક્ટાક્ટર દિનેશભાઈ ભુરીયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સલામતીના સાધનો આપ્યા વગર કામ કરાવી મોત નિપજાવવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાડાંની માટી ધસી ન પડે તે માટે કોઈ ટેકા કે પાલખ બાંધ્યા વગર ખાડામાં ચણતરનું કામ કરાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભેખડ ધસી પડવાથી મજૂરોનાં મોત થવાની શક્યતા હોવાનું જાણતા છતાં કામ કરાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ખાડામાં ઉતરેલા 10માંથી બચી ગયેલા વિનોદ વસૈયાએ ફરિયાદ નોંધાવી છે.

શું હતી સમગ્ર ઘટના?
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. હાલ તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજૂરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્ર-રાજ્ય સરકારની સહાયની જાહેરાત
આ ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.