મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન, ગુરૂ દત્તાત્રેયના વચનથી શરૂ થયું અન્નક્ષેત્ર

સાગર ઠાકર, જૂનાગઢ: અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય, ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જેમાં અંશ છે એવા ભગવાન દત્તાત્રેય ગિરનાર શિખર પર એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ સુધી યોગનિંદ્રામાં એટલે કે સાધના કરી, તપ કર્યું તે આ સ્થાન એટલે ગિરનાર પર્વત પર આવેલું ગુરૂ દત્તાત્રેય શિખર કે જે ખુબ જ દુર્ગમ છે અને ભગવાન ગુરૂ દત્તાત્રેય દ્વારા પોતે પ્રગટાવેલો ધુણો આજે પણ પ્રજ્વલિત છે અને તેમના કમંડલ થી ગંગાજી પ્રગટ થયા અને પાણીની સરવાણી આજે પણ થાય છે તે સ્થાન કમંડલ કુંડ તરીકે પ્રસિધ્ધ છે. આમ આ સ્થાન પર બ્રહ્માંડનો સૌથી પુરાતન અગ્નિ આજે પણ પ્રજ્જવલિત છે.

ભગવાન દત્તાત્રેયનું વચન હતું કે હું દિવસમાં ગમે ત્યારે ભિક્ષા માટે આવીશ… તેથી જ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચલાવાય છે કે ક્યારે અને ક્યાં સ્વરૂપે ભગવાન ભિક્ષા માટે આવે અને તે ખાલી હાથે ન જાય તે માટે કમંડલ કુંડ સંસ્થાન કાર્યરત છે.

અમૃતગિરિજી બાપુ એક સિધ્ધ સંત હતા, પોતાની યુવાવસ્થામાં મારવાડી સંઘ સાથે ગિરનાર યાત્રાએ આવ્યા હતા ત્યારે ગુરૂ શિખર પર બ્રહ્મગીરીજી બાપુ પૂજારી તરીકે બેઠા હતા અને તેમણે અમૃતગિરિજી બાપુને કહ્યું કે બધાં યાત્રીકોએ કાંઈ ને કાંઈ ભેંટ ધરી છે તમે શું ભેંટ ધરો છો ત્યારે અમૃતગિરિજી બાપુએ કહ્યું કે આજથી હું મારૂં સમગ્ર જીવન ભગવાન ગુરૂ દત્તાત્રેયના ચરણમાં સમર્પિત કરૂં છું એમ કહી તેઓ ગુરૂ શિખર થી નીચે આવેલ કમંડલ કુંડની જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમના ગુરૂ શાંતિગિરિજી સાથે પ્રથમ મુલાકાત થઈ અને તેમણે ત્યાંથી સંન્યાસ દિક્ષા લીધી, કમંડલ કુંડ ખાતે આદિ અનાદિ કાળથી અન્નક્ષેત્ર કાર્યરત છે આમ અહીં અન્નક્ષેત્ર પરંપરા રૂપે મળે છે જે અહીંના મહંત નિભાવે છે.

આજે ગિરનાર પર્વત પર રોપ વે ની સુવિધા ઉપલબ્ધ છે જે અંબાજી મંદિર સુધી છે, અંબાજી મંદિર થી કમંડલ કુંડ સુધી ચઢાણ સાથે 2200 પગથિયાં છે જ્યાં પહોંચવું કઠીન છે ત્યાં અન્નક્ષેત્ર ચલાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યાં આદિ અનાદિ કાળથી કે જ્યારે કોઈ સર સાધનોની સુવિધા ન હતી ત્યારથી અન્નક્ષેત્ર કાર્યરત છે, આજે તળેટીમાં કોઈ એક વસ્તુના ભાવ તે જ વસ્તુને ગિરનાર પર્વત પર પહોંચાડતા તેનો ભાવ પાંચ ગણો વધી જાય છે કારણ કે જે તે ચીજ વસ્તુઓ ઉપર પહોંચાડવા મંજૂરી ચૂકવવી પડે છે, એમ કહી શકાય કે અહીંયા સોના કરતાં ઘડામણ મોંઘી છે આમ અહીં અન્નક્ષેત્ર ચલાવવું કઠીન કામ છે.

આ પરંપરામાં એક નામ ઉમેરાયું સ્વામી મહેશગિરિજીનું… યુવા વયે સન્યાસી બની સેવાકાર્ય માટે તત્પર એવા સ્વામી મહેશગિરિજી પણ પોતાની પરંપરા મુજબ કમંડલ કુંડ ખાતે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે ત્યારે જે ભાવિકો કમંડલ કુંડ સુધી પહોંચી ન શકે તેવા ભાવિકોનું શું..? આ વિચાર થી સેવાકાર્યમાં વધારો થયો અને સ્વામી મહેશગિરિજીના માર્ગદર્શન થી તેમના શિષ્ય સ્વામી મુક્તાનંદગિરિજીએ ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું, એટલું જ નહીં જે રીતે કમંડલ કુંડ ખાતે ભગવાન દત્તાત્રેયનો અખંડ ધુણો આવેલો છે તેની પ્રતિકૃતિ સમાન અખંડ ધૂણો તળેટીમાં પ્રજ્જવલિત છે આમ જે રીતે કમંડલ કુંડ માં અખંડ ધૂણો અને અન્નક્ષેત્ર છે તે જ રીતે તળેટીમાં પણ ભગવાન દત્તાત્રેયનો અખંડ ધૂણો અને અન્નક્ષેત્ર કાર્યરત છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર દત્તાત્રેય શિખરના દર્શન માટે આવે છે, કમંડલ કુંડ ખાતે દર્શન કરીને અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.

ગિરનાર ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં બ્રહ્માંડના પ્રથમ સન્યાસી ભગવાન શ્રી ગુરૂ દત્તાત્રેય એક યુગ સુધી યોગ સાધનામાં લીન રહ્યા અને એટલે જ વિશ્વના કોઈપણ સન્યાસી માટે ગિરનાર ક્ષેત્ર મોટું તિર્થધામ છે અને એટલે જ તો કહેવાય છે કે ગિરનાર ગુરૂ દત્તની ભૂમિ છે અને ભગવાન ગુરૂ દત્તાત્રેયના દિવસમાં એક વખત ભીક્ષા લેવા આવીશ ના વચન ને લઈને ગિરનાર ક્ષેત્રમાં સતત અન્નક્ષેત્રો ધમધમતા રહે છે.

જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતાં મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન છે, મેળો શરૂ થતાં પહેલા અને પુરો થયા પછી પણ અન્નક્ષેત્રો ચાલુ રહે છે, ભવનાથ તળેટીમાં કાયમી અન્નક્ષેત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના અન્નક્ષેત્ર શરૂ થાય છે અને અન્નક્ષેત્રના કારણે જ લાખોની સંખ્યામાં ભાવિકો મેળામાં ઉમટી પડે છે, ઘરમાં ન મળે તેવું ભોજન અન્નક્ષેત્રમા મળતું હોય છે, સેવાભાવિ દાતાઓના સહયોગથી મેળા દરમિયાન અન્નક્ષેત્રો ધમધમતા હોય છે.

મહાશિવરાત્રીનો મેળો હોય ગિરનારની પરિક્રમા, ભવનાથ તળેટીમાં ભજન અને ભોજન કાયમ રહે છે, મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો આવતાં હોય છે ત્યારે ભાવિકોની સેવા માટે અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ અન્નક્ષેત્રો ચલાવે છે,ભવનાથ તળેટીમાં આવેલી ઘાર્મિક જગ્યાઓ અને આશ્રમોમાં તો બારે માસ અન્નક્ષેત્રો ચાલે છે અને મેળા દરમિયાન પણ ચાલુ હોય છે તે તમામ નિઃશુલ્ક હોય છે, સેવાભાવિ દાતાઓના સહયોગથી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ આ અન્નક્ષેત્રો ચલાવે છે, જેમાં સવારે ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે ફરી ચા નાસ્તો અને રાત્રીના જમવાનું હોય છે, અન્નક્ષેત્રમાં કોઈ શુલ્ક લેવાતું નથી એટલે એનો મતલબ એ નથી કે ગુણવત્તા વગરનું ભોજન હોય, કદાચ લોકો પોતાના ઘરે પણ નહીં જમતા હોય તેવું શુધ્ધ અને સાત્વિક ભોજન અન્નક્ષેત્રમાં પીરસવામાં આવે છે, દરરોજ અલગ અલગ જાતના મિષ્ટાન, ફરસાણ, શાકભાજી, કઠોળ, પુરી, રોટલી, બાજરાના રોટલા,, રીંગણાનો ઓળો, ગિરનારી ખીચડી, કઢી, દાળ ભાત, સંભારો, છાશ પાપડ વગેરે જાણે છપ્પન ભોગ હોય તેમ રસથાળ પિરસાઈ છે.

અન્નક્ષેત્રોમાં ભાવિકોને ભોજન કરાવવા પાછળનો એક માત્ર સેવાનો હેતુ છે, મેળામાં લોકો પુણ્યનું ભાથું બાંધવા આવે છે ત્યારે ભાવિકોના પુણ્યમાં ભાગીદાર બનવા ભાવિકોની સેવાના ભાવથી તેમને જાતજાતના ભોજન પીરસાઈ છે. ગરીબ હોય કે અમીર અન્નક્ષેત્રમાં તમામ લોકો એક સરખા જ હોય છે અને એકી સાથે ભોજનનો આસ્વાદ માણતા હોય છે, પોતાને આંગણે આવનાર ભાવિક ભુખ્યો ન જાય અને તૃપ્ત થઈને જાય તેવા હેતુથી સેવાભાવિઓ નિરંતર સેવા કરે છે, તમામ ભાવિકોને ગરમાગરમ અને સ્વાદીષ્ટ ભોજન મળી રહે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો મહાશિવરાત્રીનો મેળો કરવા આવે છે અને પુણ્યનું ભાથું બાંધી જાય છે ભાવિકોની સાથે સેવાભાવિ લોકો દ્વારા ચાલતાં અન્નક્ષેત્રો પણ ક્યાંક પુણ્યના ભાગીદાર બને છે.

ભવનાથ તળેટીમાં આવું જ એક અન્નક્ષેત્ર છે ભોલેનાથ અન્નક્ષેત્ર… આ એક એવું અન્નક્ષેત્ર છે કે જ્યાં એક સાથે 22 અલગ અલગ સંસ્થાઓ સાથે મળીને એક અન્નક્ષેત્ર ચલાવે છે એટલે અહીં વિવિધ સંસ્થાઓનું સુંદર સંકલન પણ જોવા મળે છે, ભવનાથ તળેટીમાં જ નાથ સંપ્રદાયની જગ્યા એટલે યોગીશ્રી શેરનાથજી બાપુનો ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ કે જેનો રોટલો સૌથી મોટો ગણાય છે, ન માત્ર શિવરાત્રી કે પરીક્રમા પરંતુ યોગીશ્રી શેરનાથજીના આશ્રમમાં બારેમાસ અન્નક્ષેત્ર ચાલે છે, તો આપા ગીગાના ઓટલા વાળા નરેન્દ્ર બાપુ શિવરાત્રી અને પરીક્રમા વખતે અન્નક્ષેત્ર ચલાવે છે અને કોઈપણ જાતના ભેદભાવ વગર અઢારે વરણના લોકો એક સાથે બેસીને આપા ગીગાના ઓટલે અન્નક્ષેત્રનો પ્રસાદ મેળવે છે. તેવી જ રીતે ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા પણ છેલ્લા છ દાયકાથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આમ ભવનાથમાં ન માત્ર ધાર્મિક સ્થાનો પર પરંતુ જ્ઞાતિની જગ્યાઓ અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ અન્નક્ષેત્રની સેવા અવિરત રાખવામાં આવે છે અને આવનાર ભાવિકોને ભોજન કરાવીને પુણ્યનું ભાથું બાંધે છે.