July 2, 2024

મહારાષ્ટ્ર કેબિનેટે 10% મરાઠા આરક્ષણને આપી મંજૂરી

Maratha Aarakshan: મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં હાલ શિંદે શિવસેના, ભાજપ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. કેબિનેટે આજે સવારે મરાઠા આરક્ષણ બિલને મંજૂરા આપી દીધી છે. સરકારે એ બાદ સ્પષ્ટતા પણ કરી કે અન્ય પછાત વર્ગને આ આરક્ષણથી અસર નહીં થાય. મરાઠા લોકો માટે અલગથી આરક્ષણ કોટાની જાહેરાત કરવામાં આવશે.

મહત્વનું છેકે, મહારાષ્ટ્ર સરકારે આજે એક દિવસનું ખાસ વિધાનસભાનું સત્ર બોલાવ્યું હતું. આજ સાંજ સુધીમાં વિધાનસભામાંથી પણ તેને પારિત કરવામાં આવશે. 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં માસ્ટરસ્ટ્રોક રમી નાખ્યો છે.

આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાંગે પાટિલ ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે સરકારને આજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારેની સામે ઓબીસી લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ઓબીસીના નેતા અને સંગઠન મરાઠોને ઓબીસી કોટામાં જોડવાને લઈને વિરોધ કરી રહ્યા છે.

હવે મુસ્લિમ આરક્ષણની માંગ
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બાદ હવે મુસ્લિમ લોકોએ પણ આરક્ષણની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં સપાના ધારાસભ્ય રઈસ શેખે નવી માંગ કરી છે. રઈશ શેખે કહ્યું કે, અમે મરાઠા સમુદાયને આરક્ષણનું સ્વાગત કરીએ છીએ, પરંતુ મુસ્લિમ સમુદાયને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે. અમે સરકારને અપીલ કરી રહ્યા છીએ કે તેઓ બધાની સાથે સમાન ભાવ સાથે ન્યાય કરો.