ઘરાણા ગામે શ્રી મહારૂદ્ર યજ્ઞના પાવન પ્રસંગે જગતગુરૂ શંકરાચાર્ય પધાર્યા

કચ્છઃ જિલ્લાના ઘરાણા ગામે શ્રી મહારૂદ્ર યજ્ઞની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી ચાલી રહી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં બીજા દિવસે શ્રી જગતગુરૂ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા. તેમની સાથે પાલનપુરના મહામંડલેશ્વર રામેશ્વારાનંદગીરી વિજય હનુમાન તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી સાધુ-સંતો પવિત્ર કાર્યમાં પધાર્યા છે.
ઘરાણા ગામે આ મહારૂદ્ર યજ્ઞના પ્રથમ દિવસે વહેલી સવારે જ્યોતેશ્વર મહાદેવ મંદિરથી ભગવાનની પાલખી હાથી-ઘોડા અને ઢોલ-નગારાના નાદ સાથે રવાળી નીકળી હતી. જેમાં ખાસ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણાનંદગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બહોળી સંખ્યામાં સાધુ-સંતો તેમજ ભાવિક ભક્તોએ પવિત્ર ગંગાસ્નાન કર્યું હતું.
ઘરાણા ગામે મહારૂદ્ર યજ્ઞના ત્રીજા દિવસે વડવાળા દુધરેજ ધામના મહંત શ્રી મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ પધાર્યા હતા. તેમજ અંજારના ધારાસભ્ય ત્રીકમ છાંગા, આ વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને વાધજી આહીર પણ આ પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ઘરાણા ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિરે મહંત નરસિંહગીરી કોટાવાળા બાપુના સાનિધ્યમાં સુંદર આયોજન કરાયું છે. તેમજ શાસ્ત્રી સાગર મારાજ અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા મહારૂદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે. જેથી અહીં કુંભ મેળા જેવો માહોલ જામ્યો છે.