હું વડાપ્રધાનને મળવા માંગુ છું… કોલકાતા દુષ્કર્મ પીડિતાની માતાએ કહ્યું- હજુ ડેથ સર્ટિફિકેટ પણ નથી મળ્યું

Kolkata: પશ્ચિમ બંગાળની આર.જી કર મેડિકલ કોલેજમાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી ડોક્ટરની માતાએ કહ્યું કે તે તેના પતિ સાથે પીએમ મોદીને મળવા માંગે છે. તે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પ્રધાનમંત્રીને મળવા માંગે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાની પુત્રીને યાદ કરતાં, શોકગ્રસ્ત માતાએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હું પ્રધાનમંત્રીને મળવા માંગુ છું. મારી દીકરીની હત્યાના કેસમાં હું તેમની મદદ લેવા માંગુ છું. અમારા મૃતક ડૉક્ટર માટે ન્યાય માટેની અમારી અપીલ પર વિચાર કરવા માટે હું તેમની મદદ માંગીશ.

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં 31 વર્ષીય જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ આચરી અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક માતાએ પોતાની દીકરીના આંખોમાં રહેલા સપનાઓ વિશે કહ્યું કે અમારી દીકરીએ મોટા સપના જોયા હતા. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને આવી રીતે મરવું પડશે. તેમને આપણાથી દૂર ગયાને સાત મહિના થઈ ગયા છે, પણ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી. અમારી પાસે તેનું મૃત્યુ પ્રમાણપત્ર પણ નથી.

તેમણે કહ્યું કે જો કોઈ મહિલા ડૉક્ટર પોતાના કાર્યસ્થળ પર સુરક્ષિત નથી, તો પછી સુરક્ષા ક્યાં છે? માતાની પ્રધાનમંત્રીને મળવાની ઇચ્છા પર પ્રતિક્રિયા આપતા, ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું કે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગવાની એક પ્રક્રિયા છે. મને ખાતરી છે કે આપણા પ્રધાનમંત્રી તેમને મળશે અને તેમની અપીલ પણ સાંભળશે.

આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીના આપઘાતની ચોથી ઘટના, મેડિકલના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

આપણા નેતા મમતા બેનર્જીએ પહેલું પગલું ભર્યું
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે આ દેશમાં કોઈપણ વ્યક્તિને વડાપ્રધાનને મળવા માટે સમય માંગવાનો અધિકાર છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા નેતા મમતા બેનર્જીએ પહેલું પગલું ભર્યું અને ગુનેગારની ધરપકડ કરવામાં આવી.

20 જાન્યુઆરીના રોજ, રાજ્યની એક જિલ્લા અદાલતે કોલકાતા પોલીસના સિવિલ વોલન્ટિયર સંજય રોયને બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. સીબીઆઈ અને રાજ્ય સરકાર બંનેએ સંજય માટે મૃત્યુદંડની સજાની માંગણી સાથે કોલકાતા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 7 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીની સમાન અરજી સ્વીકારીને ટ્રાયલ કોર્ટ દ્વારા સંજયને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને પડકારતી રાજ્ય સરકારની અપીલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.