September 20, 2024

કરોડોના ખર્ચે બનેલા નેશનલ હાઇવે પરના બ્રિજે 4 જ મહિનામાં તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડ્યો

ધર્મેશ જેઠવા, ઉના: સોમનાથ ભાવનગર હાઇવે કે જે દેશનો બીજો RCC મેટલ રોડ છે. સૌરાષ્ટ્રને રોડ રસ્તા બાબતે ક્યારેય ન્યાય ના મળ્યો. અત્યાર સુધી ઉના દિવ આવતા પ્રવાસીઓ રોડને લઈને આવવાનું ટાળતાં હતા. સોમનાથ – ભાવનગર હાઈ વે 256 કિમીનો રોડ નિર્માણ થવા જઈ રહ્યો છે. 2016 માં આ રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને 3વર્ષમાં પૂર્ણ કરવાનો હતો. જોકે, આ રોડ 8 વર્ષ જેટલો સમય થયો છતાં હજુ પૂરો થયો નથી. ત્યાં આ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની પોલ છતી થઇ છે. પ્રજાના ટેક્સના હજારો કરોડના ખર્ચે બની રહેલો આ નેશનલ હાઈ વે બન્યો પેલા જ તૂટવા લાગ્યો છે. આ રોડની આવરદા ઓછામાં ઓછી વીસ વર્ષ આંકવામાં આવી એજ રોડ બન્યાના માત્ર છ માસમાં ઠેર ઠેર તૂટવા લાગ્યો અને બેસવા લાગ્યો છે.

કોડીનાર તાલુકાના ડોળાસા પાસે આઠ દિવસ પહેલા બાયપાસ ખુલ્લો મુકવામાં આવ્યો અને રોડ ધોવાઈ ગયો તો કોડીનાર વેરાવળ વચ્ચે પણ એક પુલ બેસી ગયો છે. તો આ તરફ ઉના તાલુકા શહેર બાયપાસમાં રેલવે ફ્લાય ઓવર બ્રિજ માત્ર ચાર મહિનાના સમગાળામા ફ્લાય ઓવર ત્રીસ મીટરથી વધુ બેસી ગયો છે અને મસમોટી તિરાડો પડી ગઈ છે.

રોડ ઉપરની આ તિરાડો અનેક સવાલો ઉભા કરે છે ,જે રોડ ને સહુ થી વધુ આવરદા વાળો રોડ કહેવામાં આવે છે એ રોડને જાણે કે ભ્રષ્ટાચાર ના ભરડામાં આવી ગયો હોય તેમ જણાય રહ્યું છે. આ સિમેન્ટ રોડમાં ડામર પાથરીને પાપ છુપાવીને કોશિશ કરવામાં આવી છે ત્યારે એ પણ ઊંચકાઈને બહાર આવી ગયું છે.

આ સિવાય ઉના આસપાસ બનેલા કેસરિયા પુલ ઉપર પણ તિરાડો પાડવા લાગી છે અને સામતેર ગામ પાસે 15 દિવસ પેલા ચાલુ થયેલ પુલ ઉપર ખાડાઓ થઈ ગયા છે જ્યારે રાવળ નદી ઉપર બનેલા પુલ ઉપર પણ ડામર પાથરેલી જેમાં અનેક ખાડાઓ પડી ગયા છે. માત્ર 15 દિવસ પહેલા શરૂ થયેલ આ રોડની આ હાલત હોય તો 10 વર્ષની મજબૂતીનો દાવો કરતું તંત્ર આ અંગે શું પગલાં લેશે? લોકોના ટેક્સના પૈસા થી બનેલ આ કરોડોનો રોડ હજુ નિર્માણ નથી પામ્યો ત્યાં તૂટવા લાગ્યો છે તો આ કામ માં કેટલા હદે ભ્રષ્ટાચાર થયો હશે ? ટોલ ઉઘરાણા ચાલુ કરી દીધા છે અને રોડ માં આવા મોટા ખાડાઓ. બોલો આના માટે જવાબદાર કોણ?