July 4, 2024

જાણો, રામ મંદિર ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સમારોહનો સંપૂર્ણ કાર્યક્રમ

22મી જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિર ખાતે આજે બપોરે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેશે. હાલમાં દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં એકઠા થયા છે. આ દરમિયાન અયોધ્યામાં હજારો ભક્તોને ભગવા ધ્વજ લહેરાવતા, ઢોલ વગાડતા, જયઘોષ કરતા અને ઉજવણી કરતાં જોવા મળે છે. ચાલો જાણીએ આજના કાર્યક્રમનું સંપૂર્ણ સમયપત્રક…

  • રામ મંદિરની ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ માટેની પૂજા વિધિ 16 જાન્યુઆરીથી જ શરૂ થઈ ગઈ હતી. આજે સવારથી મંદિરમાં પૂજા-અર્ચના શરૂ છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.25 કલાકે અયોધ્યા પહોંચ્યા હતાં.
  • અયોધ્યા એરપોર્ટથી પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા રામજન્મભૂમિ જવા રવાના થયા હતા.
  • પીએ મોદી સવારે 10:55 વાગ્યે રામ મંદિર પરિસર પહોંચ્યા હતાં.
  • પીએમ નરેન્દ્ર મોદી સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે રામ મંદિર પરિસરની મુલાકાત લઈ શકે છે.
  • બપોરે 12:05 થી 1 વાગ્યાની વચ્ચે શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, પીએમ મોદી અનુષ્ઠાનની અધ્યક્ષતા કરશે.
  • બપોરે લગભગ 1 વાગ્યે પીએમ મોદી લગભગ 7,000 લોકોની જાહેર સભાને સંબોધિત કરવા માટે મંદિર પરિસરથી રવાના થશે.
  • બપોરે 2:10 વાગ્યે પીએમ મોદી કુબેર કા ટીલા જશે, જ્યાં ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
  • 23 જાન્યુઆરીથી રામ ભક્તો માટે રામ મંદિર ખુલ્લુ મુકાવામાં આવશે.

રામ મંદિરની ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ અનુષ્ઠાન 16 જાન્યુઆરીએ શરૂ થઈ
મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ માટે વિધિ 16 જાન્યુઆરીએ સરયુ નદીથી શરૂ કરવામાં આવી હતી અને આજે બપોરે ‘મુહૂર્ત’ પર પૂર્ણ થશે. નોંધનીય છે કે કરોડો લોકો આ સમારોહને ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ નિહાળશે. બીજી બાજુ સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા પણ જાહેર કરી છે અને ઘણા રાજ્યોએ તેનું પાલન કર્યું છે. દેશભરના મંદિરોએ આ પ્રસંગે વિશેષ ઉજવણીની જાહેરાત કરી છે.

84 સેકન્ડનો એક મહાન સંયોગ બની રહ્યો છે
આ સમારોહના વિધિનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો રહેશે. પીએમ મોદી બપોરે 12:29:03 થી 12:30:35 સુધી પૂજામાં હાજરી આપશે. મુખ્ય યજમાન તરીકે, પીએમ મોદી અયોધ્યામાં ચાર કલાક વિતાવશે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પણ વાંચો : Ram Mandir : રામની નગરી અયોધ્યામાં છે આવો માહોલ, જુઓ તસવીર

જાણો રામ મંદિરની વિશિષ્ટતા

  • દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે.
  • રામ મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા છે.
  • આ મંદિર નાગારા શૈલીના સ્થાપત્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યું છે.
  • મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.
  • મંદિરમાં 5 મંડપ હશે. નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા ખંડ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ.
  • મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવ્સથા કરવામા આવી.
  • મંદિર પરિસરમાં પ્રાચીનકાળનો સીતાકૂપ રહેશે.
  • મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિ પત્ની દેવી અહિલ્યાના મંદિરો પણ બનાવવામાં આવી રહ્યા છે.
  • મંદિરમાં લોખંડનો ઉપયોગ કરાશે નહીં.
  • મંદિરને માટીના ભેજથી બચાવવા માટે 21 ફૂટ ઉંચો પ્લિન્થ ગ્રેનાઈટથી બનાવવામાં આવ્યો છે.