September 19, 2024

બાંગ્લાદેશની વણસતી સ્થિતિ પર ભારતની ચાંપતી નજર, 4096 KMની બોર્ડર પર BSF એલર્ટ મોડમાં

BSF: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહીં વચગાળાની સરકાર શાસનની લગામ સંભાળશે. આર્મી ચીફ વકાર ઉઝ જમાને સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું, ‘મેં રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે સેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.’ ભારત બાંગ્લાદેશમાં ઝડપથી બદલાતા વિકાસ પર પણ નજર રાખી રહ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારત-બાંગ્લાદેશ સરહદના 4,096 કિલોમીટરના વિસ્તારમાં તમામ એકમોને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. BSFના કાર્યવાહક મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને વરિષ્ઠ અધિકારીઓ કોલકાતા પહોંચ્યા છે. જ્યાં ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

ભારતે રવિવારે રાત્રે જ બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને એડવાઈઝરી જારી કરી હતી. પાડોશી દેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને અત્યંત સાવધાની રાખવા અને તેમની હિલચાલને મર્યાદિત કરવા કહેવામાં આવ્યું હતું. ભારતે એક નવી એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવા જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “હાલના વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવાની સખત સલાહ આપવામાં આવે છે.” બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા, તેમની હિલચાલ મર્યાદિત કરવા અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે હંમેશા સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશ આર્મી ચીફે લોકોને કરી અપીલ, પ્રદર્શનકારીઓએ હિંસા રોકી ઘરે પરત ફરવું જોઈએ

ઉલ્લેખનીય છે કે શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ રાજધાની ઢાકામાં અરાજકતાનો માહોલ છે. ઢાકાના પીએમ હાઉસમાં હજારો લોકો પ્રવેશ્યા છે. લોકો પીએમ હાઉસમાંથી સામાન પણ લઈ ગયા. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા છે. હસીના પોતાની બહેન સાથે હેલિકોપ્ટર દ્વારા ભારત આવ્યા છે. તે ભારતીય સરહદે પહોંચી ગયા છે અને સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે તેવી અપેક્ષા છે.