September 19, 2024

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફસાયા, રાજ્યપાલની કેસ કરવા મંજૂરી

અમદાવાદઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મુડા કેસમાં ઘેરાયેલા છે. તેમની સામે ભાજપે મોરચો ખોલ્યો છે અને હવે રાજ્યપાલે પણ મુડા કેસમાં સીએમ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તાજેતરમાં MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના કથિત જમીન કૌભાંડમાં મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા માટે કેબિનેટનો અભિપ્રાય માંગ્યો હતો. ત્યારબાદ ગુરુવારે મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યપાલને કારણદર્શક નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી હતી. મંત્રી પરિષદે પણ બહુમતીથી ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ કેસ ચલાવવા મંજૂરી
રાજ્યપાલે કાયદાકીય નિષ્ણાતોની આ સંદર્ભે સલાહ લીધી હતી. જે બાદ રાજ્યપાલે મુખ્યમંત્રી પર કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ કિસ્સામાં ફરિયાદીઓએ મુડા કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 17 અને 19 અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ મુખ્યમંત્રી સામે કાર્યવાહી કરવાની મંજૂરી માગી હતી. ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર ટીજે અબ્રાહમ અને અન્ય કેટલાક ફરિયાદીઓએ આક્ષેપ કર્યો છે કે, મુડા કૌભાંડમાં ગેરકાયદેસર ફાળવણીથી રાજ્યની તિજોરીને 45 કરોડનું નુકસાન થયું છે. ફરિયાદમાં સીએમ સિદ્ધારમૈયા, તેમની પત્ની, પુત્ર અને મુડા કમિશનર સામે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કોલકાતા કાંડથી લાલઘૂમ AIIMSના ડોકટરોની હડતાળ, બંધ રહેશે OPD અને OT

મુડા કરપ્શન કેસ શું છે?
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ અથવા મુડા કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે. આ એજન્સીનું કામ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું છે. તેમજ લોકોને પોષણક્ષમ ભાવે આવાસ આપવા પડશે. મુડા શહેરી વિકાસ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે એક યોજના લાવી હતી. 50:50 નામની આ યોજનામાં જમીન ગુમાવનારા લોકો વિકસિત જમીનના 50% હકદાર હતા. આ યોજના પ્રથમ વખત 2009માં લાગુ કરવામાં આવી હતી. જે 2020માં તત્કાલિન ભાજપ સરકારમાં બંધ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કાનપુરમાં મોટી રેલ દુર્ઘટના, સાબરમતી એક્સપ્રેસનાં 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

એવો આરોપ છે કે, સ્કીમ બંધ થયા પછી પણ મુડાએ 50:50 સ્કીમ હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું હતું. સમગ્ર વિવાદ આનાથી જોડાયેલો છે. આરોપ છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આરોપ છે કે, મુખ્યમંત્રીની પત્નીની 3 એકર અને 16 ગુંઠા જમીન મુડા દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. તેના બદલામાં અપસ્કેલ વિસ્તારમાં 14 સાઇટ્સ ફાળવવામાં આવી હતી. મૈસૂરની બહાર કેસરેમાં આવેલી આ જમીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ 2010માં ભેટમાં આપી હતી. એવો આરોપ છે કે, મુડાએ આ જમીન સંપાદિત કર્યા વિના દેવનુર ત્રીજા તબક્કાની યોજના વિકસાવી હતી.

મુખ્યમંત્રીના પાર્વતીએ વળતર માટે અરજી કરી હતી. તેના આધારે મુડાએ વિજયનગર III અને IV તબક્કામાં 14 સાઇટ્સ ફાળવી હતી. રાજ્ય સરકારની 50:50 રેશિયો યોજના હેઠળ કુલ 38,284 ચોરસ ફૂટની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના પત્નીના નામે જે 14 જગ્યાઓ ફાળવવામાં આવી હતી તેમાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, પાર્વતીને મુડા દ્વારા આ જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી છે.