September 20, 2024

કારગિલ વિજય દિવસઃ લેહને ભારતમાંથી છૂટું કરવા માગતું હતું પાકિસ્તાન

નવી દિલ્હી/દ્રાસ (કારગિલ): પાકિસ્તાને 1999માં ઘૂસણખોરી કરી ત્યારે તેનો ઉદ્દેશ્ય હતો કે, સમગ્ર લેહ-લદ્દાખને કાશ્મીરથી અલગ કરવું. પાકિસ્તાની સેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1Aને કાપવા માંગતી હતી, જે ઝોજિલા પાસ દ્વારા લેહને જોડતો માર્ગ છે. પાકિસ્તાન જાણતું હતું કે, જો તે આ માર્ગને રોકશે તો ભારતીય સેનાને તેના સૈનિકો અને પુરવઠો મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે, તે પછી પણ પાકિસ્તાન પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ શક્યું નથી.

1999ના કારગિલ યુદ્ધ પછી ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 26 જુલાઇ એટલે કે કારગિલ વિજય દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ ટનલ નિમુ-પદમ-દારચા રોડ પર બનાવવામાં આવશે. આ એક્સેસ લેહને દેશના અન્ય ભાગો સાથે જોડવાનો ત્રીજો રસ્તો હશે. હાલમાં બે માર્ગો છે, એક શ્રીનગર-કારગિલ-લેહ નેશનલ હાઈવે અને બીજો મનાલી થઈને. સિંકુન લા ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે અને તે સમુદ્ર સપાટીથી 15800 ફૂટની ઉંચાઈએ બનાવવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. ટનલના નિર્માણ સાથે નિમુ-પદમ-દારચા રોડથી લેહ સુધી તમામ હવામાન કનેક્ટિવિટી હશે. આ ટ્વીન ટ્યુબ ડબલ લેન ટનલ હશે.

ઝોજિલા પાસને પાર કરવા માટે ઓલ-વેધર રોડ અને ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. શ્રીનગર-લેહ લદ્દાખ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ સોનમર્ગ અને દ્રાસને જોડશે. આ 14.2 કિલોમીટર લાંબી ટનલ છે. દર વર્ષે જ્યારે શ્રીનગર, લેહ અને લદ્દાખના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે. ત્યારે શ્રીનગર-લેહ-લદ્દાખ હાઈવે બંધ થઈ જાય છે. તે લગભગ 3-4 મહિના સુધી બંધ રહે છે. આ ટનલ પૂર્ણ થયા બાદ સમગ્ર વર્ષ દરમિયાન આ માર્ગ પરથી અવરજવર શક્ય બનશે. તેનાથી સરહદ પર તૈનાત સેનાને મોટો ફાયદો થશે.

ઝોજિલા ટનલ દરિયાની સપાટીથી 3,000 મીટરથી વધુની ઉંચાઈ પર બનાવવામાં આવી રહી છે. આ એશિયામાં બનેલી સૌથી ઊંચી ટનલ છે. આ ટનલનું નિર્માણ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે શ્રીનગર-કારગિલ-લેહ નેશનલ હાઈવે માટે બાયપાસ તરીકે કામ કરશે. આ હાઇવે દ્વારા શ્રીનગરથી લેહ જવા માટે લગભગ 10 કલાકનો સમય લાગે છે અને ઝોજિલા પાસમાં ઘણો સમય પસાર થાય છે. ઝોજિલા ટનલના નિર્માણ બાદ આ અંતર ઘટશે. એકવાર ઝોજિલા અને સિંકુન લા ટનલ પૂર્ણ થઈ ગયા પછી આ બે માર્ગો લેહને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે.

હવે ભારતીય સૈનિકો દરેક ઋતુમાં શિખરો પર અડગ રહે છે
1999માં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને ભગાડ્યા હતા, ત્યારે ઊંચા શિખરો પર આકરી પરિસ્થિતિમાં યુદ્ધ લડવામાં આવ્યું હતું. પુરવઠાની કોઈ અછત નહોતી, પરંતુ હવામાન એક સમસ્યા હતી. આ વિસ્તારમાં ભારતીય સેનાની ઘણી પોસ્ટ હતી, જેને શિયાળાની ખાલી જગ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે શિયાળામાં આ પોસ્ટ્સ ખાલી થઈ જાય છે અને સૈનિકો નીચે આવી જાય છે. તેવી જ રીતે, પાકિસ્તાનમાં પણ શિયાળાની જગ્યા ખાલી હતી. કારગિલ યુદ્ધ પહેલા શિયાળામાં ભારતીય સેનાએ આ પોસ્ટને અન્ય સમય કરતાં ઘણી મોડી ખાલી કરી હતી. પરંતુ જ્યારે પોસ્ટ ખાલી હતી, ત્યારે આ સમયનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેના આગળ આવી અને ઘૂસણખોરી કરી હતી.

હવે આ જગ્યાઓ ક્યારેય ખાલી રાખવામાં આવતી નથી
સૈનિકો દરેક સંજોગોમાં દેશની રક્ષા માટે અહીં રહે છે, જેથી ફરી ક્યારેય દુશ્મન આપણી જમીન પર ઘૂસણખોરી કરવાની અને કબજો કરવાની હિંમત ન કરે. સૈનિકોને અહીં રહેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હવે સૈનિકો માટે ખાસ ઊંચાઈ પરના તંબુઓ અને ખાસ શિયાળાના વસ્ત્રો છે. જે માઈનસ 40થી માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસમાં પણ સૈનિકોને આરામ આપે છે. સૈનિકો માટે અહીં સ્માર્ટ કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં જગ્યાને ગરમ રાખવાની સુવિધા સાથે વીજળી અને પાણીની પણ વ્યવસ્થા છે. સૈનિકોની તબિયત સારી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લદ્દાખના ઉંચા શિખરો પર તૈનાત સૈનિકો માટે ખાસ ત્રણ સ્તરના તંબુઓ છે, જે તેમને બરફ અને બહારથી ભારે પવનથી રક્ષણ આપે છે અને તેમને અંદરથી ગરમ રાખવાની પણ વ્યવસ્થા છે.