September 16, 2024

કંગના રનૌતની ‘ઇમરજન્સી’ને ન મળી હાઈકોર્ટમાંથી પણ રાહત, 6 સપ્ટેમ્બરે નહીં થાય રિલીઝ

Emergency Row: કંગના રનૌતની આવનાર ફિલ્મ ‘ઇમરજન્સી’ સતત વિવાદોથી ઘેરાયેલી છે. વાસ્તવમાં, શીખ સંગઠનો ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી રહ્યા છે. વિવાદના કારણે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી જેના કારણે તેની રિલીઝ અટકી ગઈ છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. હવે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને આજે બોમ્બે હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત નથી મળી.

‘ઇમરજન્સી’ને હાઇકોર્ટમાં પણ ન મળી રાહત
જણાવી દઈએ કે, ફિલ્મ ‘ઇમર્જન્સી’ના કો-પ્રોડ્યુસર ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસે ફિલ્મની રિલીઝ અને સેન્સર સર્ટિફિકેટની માંગ કરતાં બુધવારે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને સેન્સર બોર્ડને સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની સૂચના આપવા માંગ કરી હતી. જેથી, ફિલ્મની રિલીઝનો રસ્તો ક્લિયર થઈ શકે. જસ્ટિસ બર્ગેસ કોલાબાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનીવાલાની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. જોકે, હાઈકોર્ટમાંથી પણ ‘ઇમરજન્સી’ને રાહત નથી મળી. કોર્ટે અરજીની સુનાવણી કરતા કહ્યું કે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મના નિર્માતાઓને પ્રમાણપત્ર આપવાનું કહી શકે નહીં કારણ કે તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશનું ખંડન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ક્યારે આવશે ‘ઇમરજન્સી’ પર નિર્ણય?
હાઈકોર્ટે હવે CBFCને 18 સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે CBFCને પણ ફટકાર લગાવી છે. હવે આ અરજી પર 19મી સપ્ટેમ્બરે કોર્ટમાં ફરી સુનાવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે જબલપુર હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એવામાં હાલ તો કંગના રનૌતની ઇમરજન્સી 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ નહીં થઈ શકે. 19 સપ્ટેમ્બરે ફિલ્મને લઈને શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં 21મુ મેડલ, ગોળા ફેંકમાં સચિન ખિલારીને સિલ્વર મેડલ

શું છે ‘ઇમરજન્સી’ ફિલ્મને લઈને વિવાદ?
જણાવી દઈએ કે ‘ઇમરજન્સી’ પૂર્વ દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ શીખ સંગઠનો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. શિરોમણી અકાલી દળના કેટલાક શીખ સંગઠનોનો આરોપ છે કે આ ફિલ્મ શીખ સમુદાયની છબી ખરાબ કરવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઐતિહાસિક ઘટનાઓ સાથે છેડછાડ અને ખોટી રીતે રજૂ કરવાના આરોપો પણ છે.