જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજગી, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં રોષ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજગી સામે આવી છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના એકપણ વ્યક્તિને બીજેપી દ્વારા ટિકિટ નહીં અપાતાં સમાજમાં રોષ વ્યાપ્યો છે. જેને લઈ જ્ઞાતિ પ્રમુખ વિવેક ગોહેલની અધ્યક્ષતામાં સમાજના આગેવાનોની બેઠક મળી હતી.

પ્રમુખ વિવેક ગોહેલએ ટિકિટ ફાળવણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પક્ષમાંથી ટિકિટ આપવાનું નક્કી થયા પછી પણ સ્થાનિક કક્ષાએથી બાદબાકી કરવામાં આવી હોવાની વાત કરી છે. વિવેક ગોહેલ પૂર્વ મેયર ધીરૂ ગોહેલનો પુત્ર છે. વર્ષ 2019ની ચૂંટણીમાં ધીરૂ ગોહેલને અમેરિકાથી બોલાવ્યા હતા અને ભાજપમાંથી ઉમેદવારી કરાવી ચૂંટણી જીતી હતી.
સક્ષમ ઉમેદવારો અને નિર્ણાયક મતદારો હોવા છતાં સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ નહીં મળતાં સમાજમાં રોષ જોવા મળ્યો છે.