જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ-સંતો, સામાજીક આગેવાનો અને અધિકારીઓની બેઠક મળી

જૂનાગઢ: જૂનાગઢમાં આગામી 22થી 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેને લઈને તંત્ર દ્વારા આયોજન અંગે બેઠક બોલાવવામાં આવી હતી, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી મહાશિવરાત્રીના મેળાના આયોજનની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, પોલીસ વિભાગ, મનપાના અધિકારી, પદાધિકારીઓ, સાધુ-સંતો, સામાજીક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો અને સરકારના તમામ વિભાગોની સંયુક્ત રીતે મેળાના સુચારૂ આયોજન માટેની બેઠક બોલાવવામાં આવે છે અને સૂચનો લેવામાં આવતાં હોય છે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રી મેળાના આયોજન માટે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા દ્વારા મેળાની વ્યવસ્થા અંગે જાણકારી આપવામાં આવી. બીજી તરફ સાધુ સંતો દ્વારા શિવરાત્રીના મેળામાં ભવનાથ વિસ્તારમાં પાણીની સુવિધા માટે રજૂઆત કરવામાં આવી સાથે પાસ માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યા.

જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો રાજ્યના મોટા ઉત્સવો પૈકીનો એક છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. જૂનાગઢનો શિવરાત્રીનો મેળો ભજન, ભોજન અને ભક્તિનો મેળો છે. લાખોની સંખ્યામાં ભાવિકો સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ મેળામાં આવે છે. આમ કુંભમેળાની જેમ જૂનાગઢનો મેળો સાધુ-સંતોનો પણ મેળો છે. જ્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાનું હોય તેવા મેળાનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે તે જરૂરી છે.