October 18, 2024

રાજ્યમાં રાસાયણિક ખાતરની અછત પર સંયુક્ત ખેતી નિયામકનો ચોંકાવનારું નિવેદન

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખેડુતોને રાસાયણિક ખાતર મેળવવામાં હાલાકીનો સમનો કરવો પડી રહ્યો છે. જેને લઈને આજે સંયુક્ત ખેતી નિયામક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સંયુક્ત ખેતી નિયામકે નિવેદન આપતા રાસાયણિક ખાતરની અછત પાછળ ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણ ગણાવ્યું છે.

રાજ્યમાં રાસાયણિક ખાતરની અછતને લઈને સંયુક્ત ખેતી નિયામક બી જે પટેલ દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમયસર ખાતરનો જથ્થો ભારત પહોંચ્યો નથી. નાઇટ્રોજન યુક્ત ખાતરમાં યુરિયા, DAP ફોસફેસ્ટિક ખાતર, NPK પોટાસ વાળ ખાતર ખેડૂતોની માગ હોય છે. હાલ બજારમાં DAP ખાતરની અછત છે. હાલ વિશ્વના અન્ય દેશોના યુદ્ધ ચાલી રહેલા છે જેના કારણે સમયસર ખાતર ભારત પહોંચ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે દરિયામાં જળમાર્ગ બંધ થઈ ગયો છે જેથી ખાતરનો જથ્થો દરિયામાં અટકાવયેલ છે.

ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હોવાની વાત પણ તેમણે જણાવી છે. વધુમાં હાલ ઉપલબ્ધ ખાતરના જથ્થાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યુરિયા ખાતર 2 લાખ 74 હજાર મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. તેમજ DAP ખાતરનો 60 હજાર મેટ્રિક ટનનો જથ્થો ઉપબ્લધ છે. NPK ખાતરનો 1 લાખ 93 હજાર મેટ્રિક ટન જથ્થો પડ્યો છે.

વધુમાં, કૃષિ વિભાગના અધિકારીએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો ખાતર ખરીદી કરતી વખતે દુકાનદાર પાસે લાયન્સ છે કે નહીં તેની ચકાસણી કરે. ખેડૂતો ઓછી કિંમતમાં નકલી ખાતર ન ખરીદવા અને પાકું બિલ લેવા માટે પણ અપીલ કરી હતી. તેમણે ખેડૂતોને સાવચેત કરતાં કહ્યું હતું કે નકલી ખાતર કોઈ લેભાગુ તત્વો પકડાવી ન દે તેનું ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું.