જામનગરમાં રિક્ષાચાલકની અંગત અદાવતમાં હથિયારના ઘા ઝીંકી હત્યા, પાંચ આરોપીની ધરપકડ

સંજય વાઘેલા, જામનગરઃ રવિવારે વહેલી સવારે શહેરના દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રિક્ષાચાલક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસમાં રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી એક મહિલાના ઘરે લઈ જવાયો હતો. જ્યાં હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. જૂના મનદુઃખના કારણે પાંચ શખ્સોએ તેની હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ જુદી જુદી ટીમ બનાવી હતી.
જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈની હત્યા કરાઈ છે. જામનગરના દિગજામ સર્કલ નજીક આવેલી સિધધાર્થ નગર શેરી નંબર-4માં રહેતા રામીબેન ધનજીભાઈ પરમારે આરોપી હિતેન ઉર્ફે હિરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દીલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસકીયા સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ પાંચ આરોપીની અટકાયત કરી લીધી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પુત્ર કાનજી ઉર્ફે કાનો ધનજીભાઈ પરમારને તેના જ વિસ્તારમાં રહેતા હીનાબેન મકવાણા, તેના પતિ અને દીકરા હિતેન ઉર્ફે હીરો અને રાહુલની સાથે જુનું મનદુખ ચાલતું હતું. આ મનદુઃખનું વેર વાળવા માટે તમામ આરોપીઓ એકસંપ થયા હતા. બાદમાં અગાઉથી આયોજન કરી કાનજી ઉર્ફે કાનો ધનજીભાઈ પરમારને ફોન કરી સમાધાન સહિતની બાબતનો ઉલ્લેખ કરી મહાકાળી સર્કલ ખાતે બોલાવી લીધો હતો. જ્યાં આરોપીઓએ માથાકૂટ કરી હતી. બબાલ બાદ કાનાનું મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. બાદમાં હીનાબેન દેપાળભઈ મકવાણા ઘરે લઈ જઈ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતા કાનાનું મોત નિપજ્યું હતું.
ત્યારબાદ તેમની હત્યા કરેલી હાલતમાં જામનગરના આંબેડકર બ્રિજ નીચેથી રેતીના સટામાંથી લાશ મળી આવી હતી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ધડાકો થયો છે. મૃતક કાનજીની માતા રામી બેનની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સીટી સી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ૧૮૯(૨)૧૯૧(૨)૧૯૧(૩) ,૧૯૦,૧૪૦(૧),૧૦૩(૧) ૬૧(૨) (૧) ,૧૧૮(૧) તેમજ જી પી એક્ટ ની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને પાંચેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.