September 18, 2024

કર્મચારી મંડળનો 17મીએ પેનડાઉનનો કાર્યક્રમ મોકૂફ, જગદીશ વિશ્વકર્માએ આપ્યો જવાબ

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારી મંડળ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હકારાત્મક વલણ દર્શાવતા હોય તેવું લાગી રહ્યું છે. કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર છે અને તેમના પ્રશ્નોને લઈને હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે તેવું સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. ત્યારે આગામી 17મી સપ્ટેમ્બરે સરકારી કર્મચારીઓ પેનડાઉન કરવાના હતા તે કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે.

મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓની લાગણી-માગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓની તમામ માગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે. આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઇ પટેલ, કુબેરભાઇ ડિંડોર અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓનાં પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓનાં પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીઓનાં પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળે 17મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.