June 29, 2024

ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોનીએ ભારતીય મજૂરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

Indian Labour Death: તાજેતરમાં જ ઈટાલીમાં 31 વર્ષીય ભારતીય મજૂરનું દુઃખદ અવસાન થયું હતું. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. માહિતી અનુસાર, ભારતીય મજૂરનો હાથ કપાઈ ગયો, પરંતુ તેની સારવાર કરાવવાને બદલે તે જેના માટે કામ કરતો હતો તેણે તેને રસ્તાના કિનારે ફેંકી દીધો, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું. ગયા અઠવાડિયે બનેલી આ ઘટનાએ ઈટાલીને હચમચાવી દીધું છે અને દેખાવકારોએ એમ્પ્લોયર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આજે મેલોનીએ ઈટાલીની સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મૃતક મજૂર સતનામ સિંહ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રોમ નજીકના લેઝિયોમાં શાકભાજીના ખેતરમાં કામ કરતી વખતે ભારે મશીનથી સતનામ સિંહનો હાથ કપાઈ ગયો હતો.

માલોનીએ સતનામ સિંહને ‘અમાનવીય કૃત્યો’નો શિકાર ગણાવ્યો હતો અને દોષિતો સામે કડક સજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેણે કહ્યું, “આ એક અમાનવીય કૃત્ય છે. ઈટાલિયનો આના જેવા નથી. મને આશા છે કે આ બર્બરતાને સખત સજા કરવામાં આવશે.” સતનામ સિંહ પંજાબનો રહેવાસી હતો. ઇટાલિયન મીડિયાના અહેવાલો અનુસાર, સિંઘના એમ્પ્લોયર એન્ટોનેલો લોવાટોએ તેમને અને તેમની પત્નીને એક વાનમાં બેસાડી દીધા અને તેમને તેમના ઘરની નજીક રોડ કિનારે છોડી દીધા.

મધ્ય ઇટાલીના લેઝિયો ક્ષેત્રમાં ભારતીય સમુદાયના વડા ગુરમુખ સિંહે જણાવ્યું હતું કે, “તેને કૂતરાની જેમ બહાર ફેંકી દેવામાં આવ્યો. શોષણ દરરોજ થાય છે, આપણે દરરોજ તે ભોગવીએ છીએ, તે હવે સમાપ્ત થવું જોઈએ.” સતનામ સિંહના મોતની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તેણે ઇટાલીમાં કૃષિ ક્ષેત્રમાં પ્રણાલીગત દુરુપયોગનો સામનો કેવી રીતે કરવો તે અંગે ઉગ્ર ચર્ચાને વેગ આપ્યો છે, જ્યાં ગેરકાયદેસર કામદારોનો ઉપયોગ અને ખેડૂતો અથવા ગેંગ બોસ દ્વારા તેમનો દુરુપયોગ સામાન્ય છે.

બીજી બાજુ, પરંબર સિંહે કહ્યું કે “સતનામ એક દિવસમાં મરી ગયો, હું દરરોજ મરી રહ્યો છું. કારણ કે હું પણ પીડિત મજૂર છું.” કામ કરતી વખતે અકસ્માતમાં પરંબર સિંહની આંખમાં ગંભીર ઈજા થઈ હતી. 33 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે, મારા બોસે કહ્યું કે તેઓ મને હોસ્પિટલમાં લઈ જઈ શકતા નથી કારણ કે મારી પાસે કરાર નથી. હું 10 મહિનાથી ન્યાયની રાહ જોઈ રહ્યો છું.