September 8, 2024

હમાસે મચાવી તબાહી, 9 મહિના બાદ પણ મળી રહ્યા છે મૃતદેહ

Hamas: ઇઝરાયલમાં હમાસની તબાહીના નિશાન 9 મહિના પછી પણ દેખાઈ રહ્યા છે. ઇઝરાયલી સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન માર્યા ગયેલા પાંચ ઇઝરાયલી નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમના મૃતદેહોને ગાઝા પટ્ટીમાં લઈ જવામાં આવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ અહેવાલ આપ્યો હતો કે માયા ગોરેન તેમજ સૈનિકો ટોમર અહિમાસ અને કિરીલ બ્રોડસ્કીના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય રવિદ આર્યેહ કાત્ઝ અને ઓરેન ગોલ્ડિન (મિલિટરી રિઝર્વિસ્ટ)ના મૃતદેહ પણ બચાવ કામગીરી બાદ ઇઝરાયલ પરત કરવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ ઇઝરાયલ પહેલા જ આ પાંચને મૃત જાહેર કરી ચૂક્યા છે. સૈન્ય અને ઇઝરાયેલી અભિયાન જૂથ ‘હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમિલીઝ ફોરમ’એ જણાવ્યું હતું કે હુમલાના દિવસે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા તેઓ તમામ માર્યા ગયા હતા. સેનાએ જણાવ્યું કે 7 ઓક્ટોબરે આતંકવાદીઓ સામે લડતી વખતે સૈનિકો કાર્યવાહીમાં શહીદ થયા હતા. સત્તાવાર ઇઝરાયેલી આંકડાઓના આધારે તે દિવસે હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,197 લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના નાગરિકો હતા.

આ દિવસે હમાસના આતંકવાદીઓએ 251 બંધકોનું પણ અપહરણ કર્યું હતું. તેમાંથી 111 ગાઝામાં જ છે. જેમાંથી 39 લોકોના મોત થયા હોવાનું સેનાનું કહેવું છે. સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીના દક્ષિણમાં આવેલા મુખ્ય શહેર ખાન યુનિસમાં એક ઓપરેશન દરમિયાન બુધવારે મૃતદેહો મળી આવ્યા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધના નવ મહિનાથી વધુ સમય પછી આ બન્યું છે. સેનાએ વિગતો આપી ન હતી. પરંતુ જણાવ્યું હતું કે બચાવ કામગીરી પહેલા એકત્ર કરાયેલી ગુપ્ત માહિતીમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પેલેસ્ટિનિયનોએ અમારી સાથે શાંતિથી રહેતા શીખે, નેતન્યાહુએ અમેરિકાને કહ્યું – તેઓ ગાઝા સાથે શું કરશે?

સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે મિશનની પ્રશંસા કરી. એક નિવેદનમાં કહ્યું કે સૈન્ય “હમાસની હાર સુધી લડવાનું ચાલુ રાખશે. અમે બંધકોને ઘરે પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” ખાન યુનિસ પર સેના દ્વારા કરવામાં આવેલા નવા હુમલાના દિવસો પછી મૃતદેહોની પુનઃપ્રાપ્તિ થઈ. ઇઝરાયલે જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં મહિનાઓ સુધી ચાલેલી ભીષણ લડાઈ બાદ એપ્રિલમાં શહેરમાંથી સૈનિકો હટાવી રહ્યું છે.

ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ તેના 10મા મહિનામાં પ્રવેશ્યું છે. જેમાં ઓછામાં ઓછા 39,090 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 90,147 અન્ય ઘાયલ થયા છે. ઇઝરાયલ અને હમાસ સંપૂર્ણ યુદ્ધવિરામ કરાર અને વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી બંધકોની મુક્તિ પર કોઈ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. નજીકના પૂર્વમાં પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી (UNRWA) એ બુધવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીના લોકો સતત વિસ્થાપનથી કંટાળી ગયા છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે અને નાના અને ભીડભાડવાળા વિસ્તારોમાં ફસાયેલા છે.